વીજશોકથી મોતના કેસમાં વારસદારોને 60.70 લાખનું વળતર આપવા આદેશ

ભુજના શિવકૃપાનગરમાં તા.28-7-2015ના શિવકૃપાનગરમાંથી પસાર થતી વેળાએ ચાલુ વીજ વાયર પડતાં મોતના કેસમાં ભુજની અદાલતે હતભાગીના વારસદારોને 60.70 લાખનું વળતર આપવા આદેશ કર્યો છે. કેસની હકીકત એવી છે કે, હર્ષગિરિ દીપકગિરિ ગોસ્વામી શિવકૃપાનગરમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે થાંભલા પરથી ચાલુ વીજ વાયર રસ્તા પર પડ્યો હતો અને તેના સંપર્કમાં આવતાં હર્ષગિરિનું મોત થયું હતું.

આ કેસમાં બંને પક્ષે પૂરાવો નોંધાવ્યા બાદ PGVCL દ્વારા ખુજ જ વાવાઝોડા અને વરસાદના કારણે વીજ વાયર થાંભલામાંથી તૂટી ગયો હોઇ તે એક્ટ ઓફ ગોડની વ્યાખ્યામાં આવતો હોઇ તેની વળતર આપવા તેઓ જવાબદાર ન હોવાની રજૂઆત કરી હતી.

જેની સામે મૃતકના વારસદારોએ તે વાદી તરફે રજૂ થયેલા સાહેદોના સોગંદનામા, પૂરાવા, દસ્તાવેજી આધારોની હકીકતો, લેખિત-મૌખિક દલીલ, જુદા-જુદા ચુકાદાઓ રજૂ કરાતાં ભુજની સિવિલ કોર્ટે PGVCL અકસ્માત પોતાની બેદરકારીથી ન થયો હોવાની હકીકતો પૂરવાર કરવામાં નિષ્ફળ ગયાનું તારણ આપી હર્ષગિરિનું ઇલેક્ટ્રીક શોકની મુત્યુ થયું હોવાનું અને તેમાં PGVCL ની બેદરકારીમાની મૃતકના વારસદારોને રૂ.42,77,328 દાવાની તારીખથી વાર્ષિક 7 ટકા વ્યાજ સહિત કુલ રૂ.60,70,000નું વળતર ચુકવી આપવા આદેશ કર્યો હતો. મૃતકના વારસદારો વતી ધારાશાસ્ત્રી રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, હાર્દિક એન. જોબનપુત્રાએ હાજર રહી દલીલો કરી હતી.