બિનખેતીમાં નાણાં ભરવાની મુદ્દત 21 દિવસથી વધારી 50 દિવસ કરાઈ

ગુજરાત સરકારના મહેસુલ વિભાગે 26મી ઓગસ્ટે પરિપત્ર બહાર પાડીને બિનખેતી પરવાનગીના હુકમના નાણા ભરપાઈ કરવાની મુદ્દત વધારવા નિર્ણય લીધો છે, જેમાં નાણા ભરવાની જાણ કરતો એસ.એમ.એસ. કે ઈ-મેઈલ કર્યા બાદ 21 દિવસમાં નાણા ભરાઈ કરવામાં ન આવે તો પરવાનગી રદ કરવામાં આવતી હતી. જે મુદ્દત વધારીને 50 દિવસની કરાઈ છે. પરિપત્રમાં જણાવાયું હતું કે, સક્ષમ અધિકારી દ્વારા બિનખેતી પરવાનગીની કાર્યવાહી ત્રણ મહિનાથી વૈદ્યાનિક સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહે છે. ત્યારબાદ સરળીકરણના ભાગ રૂપે બિનખેતીની પરવાનગી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે.

બિનખેતી પરવાનગીના હુકમ અન્વયે ઓનલાઈન પેમેન્ટથી નાણા ભરપાઈ કરવા એસ.એમ.એસ. કે ઈ-મેઈલથી જાણ કર્યાના 21 દિવસમાં નાણા જમા ન કરાવવાના કિસ્સામાં પરવાનગી રદ થયેલી ગણાવાની જોગવાઈ અમલી કરાઈ હતી. પરંતુ, ટેકનીકલ ક્ષતિને કારણે અથવા કાબૂ બહારના સંજોગોને કારણે અરજદારો 21 દિવસની સમયમર્યાદામાં નાણા જમા કરાવવામાં નિષ્ફળ જાય તો બિનખેતી પરવાનગીનો હુકમ રદ થાય છે. અરજદારે પુન:બિનખેતી પરવાનગી મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેના લીધે સમયનો વ્યય થાય છે અને હાલાકી ભોગવવી પડે છે, જેથી 50 દિવસ સુધી  મુદ્દત વધારવાનો નિર્ણય લેવાયો છે.