શિણાય ડેમમાં ગણપતિ વિસર્જન કર્યા બાદ ન્હાવા પડેલા ગાંધીધામના પરિવારની સગીર પુત્રીનું ડુબવાથી મોત


ગાંધીધામ તાલુકાના શિણાય ડેમમાં ગણેશ વિસર્જન માટે ગયેલા પરિવારમાંથી પુત્રીનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. બે કલાકથી વધુ સમયના પ્રયાસો પછી મૃતદેહને બહાર કઢાયો હતો. નોંધવું રહ્યું કે બે દિવસ પહેલાજ સરપંચે અહી વિસર્જન ન કરવા અપીલ કરી અને અંકુશ માટે પોલીસ પણ બોલાવી હતી. શિણાય ડેમને તાજેતરમાં નર્મદા કેનાલનું ક્નેક્શન મળતા તેને રેવાના જળથી ભરવામાં આવ્યું છે ત્યારે ડેમમાં સારા પ્રમાણમાં પાણી હોવાથી ગણેશ વિસર્જન માટે તાલુકા ભરથી મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા હતા.
મંગળવારના સવારે ગાંધીધામના ભારતનગરના રેલવે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર પણ ગણેશ વિસર્જન માટે આવ્યા હતા, સવારના 11:30 વાગ્યાના અરસામાં પરિવાર ડેમ પર પહોંચ્યું હતું અને ગણેશ વિસર્જન કર્યા પછી ડેમમાં ન્હાવા લાગ્યા તે દરમ્યાન પગ લપસતા અને ઉંડો પટ આવતા જોત જોતામાં પરિવારના ત્રણ સદસ્યો ડુબવા લાગ્યા જેમાંથી બે કોઇ રીતે હેમખેમ બહાર આવી ગયા હતા પરંતુ તેમના પરિવારની 17 વર્ષીય પુત્રી ઉર્મીલાબેન દિનેશ રાજપુત પાણીમાં ગરકાવ થઈ હતી. આ અંગે અગ્નીશમન દળ અને ઈઆરસીને જાણ કરાતા તેવોએ સ્થળ પર ધસી જઈને શોધખોળ કરી અને આખરે બે કલાકના ગાળમાં મૃતદેહ બહાર કઢાયો હતો.
આદિપુર પોલીસના PSI એચ.એસ. તિવારીએ જણાવ્યું કે પરિવારે તેમની નજરો સમક્ષજ ઘટનાને જોઇ હોવાથી અને સાક્ષી હોવાથી પોસમોટમ કરાવવા સહમતી આપી નહતી, જેથી ઘટનાની રુટીન નોંધ કરાઈ છે. નોંધવુ રહ્યું કે સરપંચ દિપક સોરઠીયા દ્વારા બે દિવસ અગાઉજ આ ડેમનું પાણી લોકોના પીવા માટે સપ્લાય કરાઈ રહ્યું હોવાથી પ્રદુષણ ન ફેલાય અને કોઇ દુર્ઘટના પણ ન ઘટે તે માટે લોકોને અહી વિસર્જન માટે ન આવવાની અપીલ કરી હતી. પરંતુ વધતી ભીડને જોઇને પોલીસને પણ બોલાવી હતી.