ભુજિયા તળેટીમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરની 10 દિવસમાં 4000 લોકોએ મુલાકાત લીધી

28 ઓગષ્ટના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભુજીયા ડુંગર ખાતે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસિત આ સેન્ટરની દસ જ દિવસમાં ચાર હજાર લોકોએ મુલાકાત લીધી હતી.

રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ટેકનોલોજીને લગતા વિવિધ આકર્ષણો જેવા કે, મરાઈન નેવીગેશન સીમયુલેટર, નેનો ટેકનોલોજી આધારિત વિવિધ સાધનો તથા માઈક્રોસ્કોપમાં રાખવામાં આવેલા નમૂનાઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિદ્યાર્થીઓમાં રુચિ વધે તે હેતુથી શિક્ષકો માટે પણ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 સપ્ટેમ્બર 2022 ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ભુજના સહયોગથી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવેલા 300 થી વધારે શિક્ષકોએ ઉત્સાહપૂવૅક ભાગ લીધો હતો.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેન્દ્ર પટેલે મુલાકાતે આવેલ તમામ શિક્ષકગણનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજના પ્રવીણ મહેશ્વરી દ્વારા ગુજકોસ્ટ દ્વારા યોજવામાં આવતા વિદ્યાર્થી અને શિક્ષકલક્ષી વિવિધ કાર્યક્રમો વિષે જાણકારી આપવામાં આવી હતી. વધારામાં શિક્ષક દિવસનાં ખાસ અવસરે તમામ શિક્ષકો માટે સાયન્સ સેન્ટરનો પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહભેર સાયન્સ સેન્ટરમાં આવેલી વિવિધ ગેલેરીઓ નિહાળી હતી તેમજ રોમાંચિત થઇ ભવિષ્યમાં પોતાની શાળાના વિધાર્થીઓને સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.