રાપરનો ફતેહગઢ માર્ગ બિસ્માર: વાહનચાલકોને કરવો પડે છે હાલાકીનો સામનો


રાપર તાલુકાના ફતેહગઢ ગામને મોવાના સાથે જોડતો બે કિલોમીટરનું અંતર ધરાવતો માર્ગ છેલ્લા બે મહિનાથી બિસ્માર બન્યો છે. જેના લીધે અહીંથી પસાર થવામાં લોકોને 20 કિલોમીટરનું અંતર પસાર કરવા જેટલો સમય લાગે છે. માર્ગની વચ્ચે ઠેર ઠેર ભરાયેલા પાણીના લીધે ચીકણી માટીમાંથી લોકોને નીકળવામાં અતિ મુશ્કેલી ભોગવવી પડે છે. ખાસ કરીને અહીંથી પસાર થતા બાઈક ચાલકો માટે સામાન્ય ભૂલ અકસ્માતનું કારણ બની જાય તેવી પરિસ્થિતી છે. અનેક લોકો અત્યાર સુધી માર્ગ વચ્ચેના કીચડમાં પડી ગયાનું નજરે આવ્યું છે.
આ અંગે મોવાના તથા ફતેહગઢ ગામના અગ્રણીઓ દ્વારા સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હજુ સુધી આ માર્ગના અવરોધરૂપ ખાડાઓ અને કાદવ કિચડ અંગે કોઈ ઉકેલ આવી શક્યું નથી. ઉલ્લેખનીય છે કે બે મહિના પૂર્વે આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદ પછી અહીંનો માર્ગ ધોવાઈ ગયો છે. અને સમયાંતરે પડેલા વરસાદી ઝાપટાથી માર્ગમાં સતત પાણી ભરાયેલા રહે છે, જેના કારણે માર્ગ વચ્ચે ચીકણી માટી હોવાથી મસમોટા ખાડા સર્જાય છે. કાદવ વાળા માર્ગ પરથી નાના મોટા તમામ વાહનોને ખુબજ સાવચેતીથી પસાર થાવું પડે છે. જેમાં માનવ સમયનો વ્યય થતો હોવાથી લોકોના વહીવટી કાર્યો ઉપર પણ અસર થતી હોવાનું દિપુભા જાડેજાએ કહ્યું. તંત્ર દ્વારા જલ્દીથી માર્ગ સુધારનું કામ હાથ ધરાય એવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.