અંતે વરસામેડી હત્યા કેસનો આરોપી ઝડપાયો, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે


અંજારના વરસામેડી મધ્યે રૂમ પાર્ટનરે લુંગી અને વાયર વડે ગળું દબાવી મૃત્યુ થયા બાદ મૃતદેહને ઘરના પાણીના ટાંકામાં ફેકી ભાગી છૂટવાના બનાવથી ચકચાર મચી હતી. જે ઘટના પછી અંજાર પોલીસ આરોપીને પકડવા 4 વખત રાજસ્થાન ગયા પછી છેવટે જોધપુર માંથી આરોપી મળી આવતા તેને અંજાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો. જેથી કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હવે પોલીસ આરોપીની હાજરમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે.
અંજાર પોલીસ મથકના પી.આઈ. એસ.ડી. સિસોદિયા જણાવ્યું હતું કે, વરસામેડીની અંબાજી રેસિડેન્સીના મકાન નંબર 55માં રહેતા 23 વર્ષીય અજિતસિંહ મલેકની વાય૨, લૂંગી વડે ગળમાં ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. પછી મૃતક યુવાનના મૃતદેહને ઘરના આંગણામાં આવેલા પાણીના ટાંકામાં ફેંકી આરોપી ભાગી ગયો હતો. મૃતક યુવનના ભાઇ વેરૂભા મલેકએ મૂળ રાજસ્થાનના જોગારામ ઉર્ફે આર્યન ભગીરથ શર્મા (ગોડ) વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી હતી. આ ઈસમને પકડવા માટે પોલીસની ટીમો પણ રાજસ્થાન ગઈ હતી.
આ દરમીયાન તે રાજસ્થાનના જોધપુરમાં હોવાનું લોકેશન મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને આ ઈસમને ઝડપી પાડ્યો હતો. જેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આ ઇસમે અજિતસિંહની હત્યા કયા કારણોસર કરી તે હજુ બહાર નથી આવ્યું. જેથી હવે રીમાન્ડના સમય દરમ્યાન આરોપીની હાજરીમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.