પાલિકાનો ઢોરવાડા સાથે માર્ગો પણ પશુઓથી ભરેલા !


શહેરમાં ઢોરો પાંજરે પુરાય અને લોકોને હાશકારો ક્યારે થસે તે તો રામ (સુધરાઇ) જાણે, પરંતુ હાલ રાહદારીઓ અને વાહનચાલકો આ રખડતા ઢોરોથી ત્રસ્ત થયા છે. હાઈકોર્ટે ફટકાર લગાવી તો પણ જવાબદાર તંત્ર કોઈ કડક કાર્યવાહી કરતું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ આવ્યા ત્યારે બે દિવસ પહેલા ઢોર પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ કામગીરી ધીમી પડી ગઈ. ભુજીયાની તળેટીમાં આવેલા નગરપાલિકાના ઢોરવાડામાં બસ્સોમાંથી માત્ર પચાસેક ગૌવંશ જોવા મળ્યા.
બાકીના ઢોરોને તેમના માલિકો છોડાવી ગયા હોય તો તે ફરી રસ્તાઓ પર દેખાય નહિ તેવું આયોજન કરવું જોઈએ., સુધરાઈના ઢોરવાડામાં પચાસ ઢોર છે, અને રસ્તાઓ પર સેંકડો ગાય, વાછરડા અને આખલા નજરે પડે છે. રખડતા ઢોરો કોઈને અડફેટે લે અને જીવ લે તે પહેલાં કોઈ નક્કર કામગીરી કરવી જોઈએ.
15 દિવસથી વધુ સમય પસાર થઇ ગયો હોવા છતાં પણ હજુ સુધી સુધરાઇના ઢોરવાડામાં 190 ગૌવંશ છે. જેના માલિકો દંડ ભરીને છોડવી ગયા નથી. આ વિશે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ આર ઠક્કરે જણાવ્યું હતું કે, જો સમયસર પશુ માલિકો તેમના ઢોર છોડાવી જાશે નહીં તો પાંજરાપોળમાં મૂકી દેવામાં આવશે.