ઉભરાતી ગટરથી લોકો ત્રસ્ત: લોકો પોતે જ માટી નાખી ચેમ્બર પૂરવા ધસી ગયા!

copy image

ભુજ શહેરના વોર્ડ નંબર 3માં દાંડીવાળા હનુમાન મંદિર નજીક ઉભરાતી ગટરની સમસ્યા છે. જેનાથી સ્થાનિક લોકો ત્રસ્ત થઈ ગયા છે અને ત્રાસની પરાકાષ્ટાનો અંત આવી જતા ગટર જોઈતી જ નથી એવું કહીને ચેમ્બરમાં માટી નાખી પૂરવા ધસી ગયા હતા! ભુજ શહેરમાં કુંભારવાળા તાબૂસ નજીક ગટરની મુખ્ય લાઈન બેસી ગયા પછી શહેરના વોકળા ફળિયા સહિતના કેટલાક વિસ્તારોના માર્ગો ઉપર દુષિત પાણી વહી નીકળ્યા છે.

બીજી બાજુ ભીડનાકા નજીક ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે એ વરસાદી વહેણમાંથી કોઈકે મોટું ગાબડું પાડી દીધું, જેથી એ ગાબડામાંથી ઘાસ સહિતનો કેટલોક કચરો ચાલ્યો ગયો હોવાથી કચરાએ મુખ્ય લાઈનમાં અવરોધ સર્જ્યો હતો, જેથી દાંડીવાળા હનુમાન મંદિર નજીકની ચેમ્બરમાંથી દુષિત પાણી છલકવા લાગ્યું હતું.

ગટર છલકવાની સમસ્યાથી ત્રસ્ત થયેલા લોકો ચેમ્બરને માટીથી ઢાંકવા ધસી ગયા અને ગટર વ્યવસ્થા જોઈતી જ નથી એવો સૂર જાહેર કર્યો હતો. જે દરમિયાન ગટરની ચેમ્બરમાંથી ગેસને કારણે અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી હતી. જો કે, નગરસેવક કાસમ સુલેમાન કુંભાર સ્થળ ઉપર ધસી ગયા અને લોકોને સમગ્ર સ્થિતિથી માહિતગાર કરીને શાંત પાડ્યા હતા.