મેઘપર (કું)ની સોસાયટીઓ માળખાકીય અસુવિધાઓથી પરેશાન


આદિપુરની ભાગોળે આવેલી મેઘપર કુંભારડીની રહેણાંક વસાહતો માળખાકીય અસુવિધાઓથી ત્રસ્ત થઈ ગઇ છે. એક બાજુ યોગ્ય રસ્તાઓનો અભાવ છે તો હવે થોડા વરસાદમાં સમગ્ર વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ જતાં લોકો પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારની પુષ્પક કોટેજીસ, આશાપુરા પાર્ક, ભક્તિધામ કોલોનીઓમાં નહેર સમાન નીર વહેતા હવે લડત આદરવાની તૈયારીઓ કરાઇ રહી છે.
મેઘપર કુંભારડીની વસાહતોના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, કોલોનીમાં ઠેરઠેર પાણીનો ભરાવો થઈ જતા અસહ્ય મુશ્કેલીઓ ઊભી થઇ છે. ઘરેઘરે બીમારીઓના ખાટલા ઊભા થઈ ગયા છે, તો પાણીના ભરાવા ને લીધે નાના – મોટા અકસ્માતો સર્જાવા સામાન્ય થઈ ગયા છે. સતત પાણી વહેતું રહેવાને કારણે માર્ગો તૂટી જતાં સવારે શાળાએ જવા માટે બાળકોને પણ સમસ્યાઓ થાય છે.
આ વિષે અંજાર તાલુકા પંચાયતના જવાબદારોને વારંવાર જાણ કર્યા છતાં પણ સ્થિતિમાં સુધારો લાવવા માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. આટલું ઓછું હોય તેમ, લોકોની કફોડી હાલત વિશે અવારનવાર જાણ કર્યા છતાં પણ ચુંટાયેલા પ્રતિનિધિઓ અહી આવવાની પણ દરકાર નથી લેતા.
આ અંગે હવે અહીંની કોલોનીઓના રહેવાસીઓ દ્વારા આક્રમક લડત શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં અહીંની સ્થિતિ સુધરશે નહિ તો લોકો રસ્તા રોકો આંદોલન સહિત ની લડત શરૂ કરવાની ચીમકી ઉચ્ચારાઈ રહી છે.