મીઠીરોહર જીઆઇડીસીમાંથી 72.02 લાખના તેલ અને કેમિકલ પકડાયું


પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગઇકાલે મીઠીરોહર જીઆઇડીસીના પ્લોટ નંબર 56 માંથી શંકાસ્પદ પામ ઓઇલના જથ્થા સાથે એકને રાઉન્ડઅપ કર્યા પછી બીજા દિવસે જ આ જ જીઆઇડીસીના પ્લોટ નંબર 45 માં આવેલી ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી એનઓસી લીધા વિના અને સેફ્ટીના સાધનો રાખ્યા વિના રૂ.72.02 લાખના પેટ્રોલિયમ પદાર્થ અને તેલનો જથ્થો પકડી પાડી સતત બીજા દિવસે પણ તવાઇ જારી રાખતાં આવા તત્વોમાં ફફડાટ મચ્યો છે.
એસઓજી પીઆઇ એસ.એન.ગડ્ડુએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રે ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે મીઠીરોહર જીઆઇડીસી પાસે પહોંચતાં કોન્સ્ટેબલ હેમુભાઇને બાતમી મળી હતી કે, જીઆઇડીસીના પ્લોટ નંબર-45 માં આવેલી નર્મદારાજ ઇન્ડ્રસ્ટ્રીઝ લિ. કંપનીમાં અલગ અલગ પ્રકારના જ્વલનશીલ પદાર્થનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવે છે. આ બાતમીના આધારે કંપનીમાં જઇ ઓફિસમાં મળેલા રઘુભાઇ જોધાભાઇ રબારીને સાથે રાખી તપાસ કરતાં પતરાના શેડમાં પ્લાસ્ટિકની 1000 લીટર ક્ષમતાની 61 ટાંકીઓ તપાસતાં તેમાં નાઇઝીરીયા સોયા લેશેથીન હતું.
તેની બાજુમાં 10,000 લીટરની ક્ષમતાની ટેન્કમાં તપાસ કરતા મસ્ટર્ડ ઓઇલ હતું. આ રીતે દરોડા દરમિયાન સરકારની ગાઇડલાઇનનું પાલન ન કરી, સેફ્ટીના સાધનો રાખ્યા વિના આધાર પુરાવા વિનાના રૂ.42,70,000 ની કિંમતના 61000 લીટર નાઇઝીરીયા સોયા લેશેથીન, રૂ.17,50,000 ની કિંમતનું 35,000 લીટર મસ્ટર્ડ તેલ, રૂ.1,40,000 ની કિંમતનું 10,000 લીટર સલ્ફ્યુરિક એસિડ, રૂ.8,50,000 ની કિંમતનું 17,000 લીટર પામ તેલ, રૂ.22,000 ની કિંમતનું 11,000 લીટર સ્લજ અને રૂ.1,70,000 ની કિંમતનો સોયાસ્ટોક મળી કુલ રૂ.72,02,000 નો જથ્થો સીલ કરી તેમાંથી સેમ્પલ લઇ એએસએલ રિપોર્ટ માટે મોકલાવ્યો હતો. ટેન્કર સહીત એસઓજીએ રૂ.92,02,000 નો મુદ્દામાલ જપ્ત કરી આ નર્મદારાજ ઇન્ડ્રસ્ટ્રીઝના સંચાલક રાજેશભાઇ કન્સલ વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરી હતી.