નૂરી મસ્જિદ સામે ટ્રક- ટેન્કર અથડાતાં લાગી આગ


ગાંધીધામથી ભચાઉ જતા હાઇવે પર નૂરી મસ્જિદ સામે આગળના ટેન્કરમાં ટ્રક અથડાતા ટેન્કરમાં આગ ભભૂકી હતી જેમાં સદ્દભાગ્યે ચાલકને સામાન્ય ઇજા થઈ હતી પણ ટેન્કરમાં નુકશાન પહોંચ્યું હોવાની ઘટના એ-ડિવિ. પોલીસ મથકે દાખલ કરાવાઈ છે. એ.ડી.મહેતા ક્લીયરીંગ એજન્સીમાં ઝોન મધ્યે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મનુભાઇ નરેન્દ્ર શર્માએ દાખલ કરાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમની એજન્સીમાં ટ્રાન્સપોર્ટેશન માટે રાખેલા ટ્રકના ચાલક રંજીતકુમાર છોટેલાલ સિંગ ટ્રક લઇને નુરી મસ્જિદ સામેથી જઇ રહ્યા હતા ત્યારે આગળ જતા ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતાં ટ્રક ટેન્કરમાં અથડાયા પછી ટ્રકની કેબીનમાં આગ લાગી હતી.
આ અંગે નગરપાલિકાની ફાયર બ્રીગેડ ટીમને જાણ કરવામાં આવતા આગ કાબૂમાં લેવાઇ હતી પરંતુ કેબિનનો ભાગ સંપુર્ણ ખાખ થઈ ગયો હતો અને આગળના બન્ને ટાયર પણ સળગી જતાં નુકશાન થયું હતું. સદ્દભાગ્યે ચાલક રંજિતકુમારને ડાબા પગની પેડી , ગોઠણ અને ડાબા હાથની કોણી પર સામાન્ય ઇજાઓ થઈ હતી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તેમણે ટ્રક ચાલક રંજિતકુમાર સામે બેદરકારી પૂર્વક વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.