અમદાવાદના રામોલની દેવાસ્ય રેસિડન્સીમાં ગરબા રમવા મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી

રામોલમાં દેવાસ્ય રેસિડેન્સીમાં ગરબા રમવા મુદ્દે બે પક્ષમાં ઝઘડો અને મારામારી થઈ હતી. આ અંગે બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે.રામોલમાં આવેલી દેવાસ્ય રેસિડેન્સીમાં રહેતા ચંદન રાજપૂતની ફરિયાદ મુજબ, તેમની સોસાયટીમાં ગરબા ચાલતા હતા તે દરમિયાન તેઓ તેમની દીકરી માટે ચોકલેટ લેવા દુકાને ગયા ત્યારે તેમના ફ્લેટમાં રહેતા અને ત્યાં ઊભેલા ગોવિંદ મૌર્ય, ભાવેશ, પપ્પુએ ચંદનને કહ્યું હતું કે, ‘તું ચાલુ ગરબામાં કેમ વચ્ચે ગરબા રમતો હતો?’. આ અંગે ઝઘડો કરી મારઝૂડ કરવા લાગતા કેતન અને કલ્પેશે પણ ત્યાં આવી ચંદનને માર મારવા માંડ્યા હતા.

જોકે આસપાસના લોકો એકત્ર થઈ જતા પાંચેય ત્યાંથી પલાયન થઈ ગયા હતા. જ્યારે ગોવિંદ મૌર્યે ચંદન અને રાહુલ વાઘેલા સામે રામોલ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, ચાલુ ગરબામાં કેમ વચ્ચે રમે છે તેમ કહેતા ચંદન અને તેના મિત્ર રાહુલે ઉશ્કેરાઈ જઈને ગોવિંદને માર માર્યો હતો અને ‘જો અમારા રસ્તામાં આવીશ તો હાથપગ તોડી નાખીશ’ તેવી ધમકી અપાઈ હતી. આ વિશે રામોલ પોલીસે ક્રોસ ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.