વાઘોડિયા રોડ પર કારમાંથી ONGCના ગાર્ડની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

વાઘોડિયા રોડ પર ડી માર્ટથી ગણેશ નગર જતા રસ્તા પર શંકાસ્પદ હાલતમાં કારમાંથી લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા મોતનું કારણ જાણવા પીએમની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વાઘોડિયા રોડના રહીશે કંટ્રોલ રૂમમાં ફોન કરી કારમાં લાશ હોવાની જાણકારી આપી હતી.

આ જાણ થતાં પાણીગેટ પોલીસ અને પીસીબીની ટીમ પહોંચી હતી, જ્યાં જીજે 3 સીઆર 3016ની કારમાં લાશ હોવાનું જણાયું હતું. કારમાં તપાસ કરતાં પાકીટમાંથી મળેલા ઓળખપત્રમાં તેમનું નામ જયેશભાઈ સિંઘવા (ઉ.વ.40) હોવાનું, દંતેશ્વર રોડ પર રહેતા હોવાનું અને આર્મીમાંથી નિવૃત્ત થયા પછી ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હોવાનું ખૂલ્યું હતું. કાર સવારે 10 વાગ્યાથી પડી હોવાથી સાંજે તપાસ કરતાં તેમાં મૃતદેહ હોવાનું લાગતાં પોલીસને જાણ કરાઇ હતી.

મૂળ સૌરાષ્ટ્રના ઓખા નજીકના ગામના જયેશભાઈને આર્મીમાંથી નિવૃત્ત થયા પછી દારૂ પીવાની ટેવ પડી હતી. જે બાબતે પત્ની અને પુત્રે ટોકતાં તેમણે અલગ રહેવાનું શરૂ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ પછી જ બહાર આવશે.