સાસરિયાના ત્રાસથી નગરપાલિકાના ઈજનેરની પત્નીએ કર્યો આપઘાત

copy image

પાલમાં રહેતા નગરપાલિકાના ઈજનેરની પત્નીએ સાસરીયાઓના ત્રાસથી ફાંસો ખાઈ લીધો હતો. તેમને સંતાનમાં પુત્રી જન્મી હોવાથી પતિ સહિતના સાસરીયાવાળા ત્રાસ આપતાં હોવાથી અવાર-નવાર ઝઘડો થતો હતો. શુક્રવારે ફરી ઝઘડો થતાં નાનપુરા ખાતે પિયરમાં જઈ પરણિતાએ આપઘાત કરી લીધો હતો. પિયર પક્ષે સાસરિયા સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
પાલ ઓમ ચિંતામણી સર્કલ પાસે સૂમન આવાસ ખાતે રહેતા જીનલબેન ચિંતન નવસારીવાલા (ઉ.વ.27)ના પતિ ચિંતન અઠવા ઝોનમાં સિવિલ ઈજનેર છે. તેમને સંતાનમાં 3 વર્ષની પુત્રી છે. શુક્રવારે પતિ સાથે ઝઘડો થતાં જીનલબેન નાનપુરા દોટીવાલા બેકરી પાસે પિયરમાં આવી ગયા હતા. શનિવારે સવારે તેમણે પિયરમાં ફાંસો ખાધાની જાણ થતા તેમના ભાઈઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જીનલબેનના ભાઈ વિશાલ રેતીવાલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બેનને પ્રથમ સંતાનમાં પુત્રી જન્મી હોવાથી ચિંતન અને સાસરીયાવાળા માનસીક ત્રાસ આપી બીજા સંતાન માટે ટોર્ચર કરતા હતા. મહિનામાં ખર્ચ માટે માત્ર રૂ.500 આપતા હતા તેમજ અલગ અલગ બહાને ઝઘડો કરતા હતા.
20 દિવસ પહેલાં પણ ઝઘડો થતાં જિનલબેન પિયર આવી જતા સમજાવીને પહેલે નોરતે સાસરે મુકી આવ્યા હતા. જો કે, શુક્રવારે ફરી ઝઘડો થતા તેમણે ફરીથી પિયર આવી આપઘાત કર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.