મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધનો વિરોધ કરનાર પત્નીને નશાની ટેવ ધરાવતા પતિએ માર માર્યો

પુત્રવધૂ પર સાસરિયાઓના અત્યાચારનો વધુ એક બનાવ સામે આવ્યો. રાજકોટના RTO પાસે નરસીનગર-7માં છેલ્લા ત્રણેક મહિનાથી દોઢ વર્ષના પુત્ર સાથે પિયરમાં રહેતી અંકિતા નામની પરિણીતાએ જામનગર રહેતા પતિ કિરણ, સસરા મનસુખભાઇ અનંતરાય વાઘેલા, સાસુ જમનાબેન સામે ઘરેલુ હિંસા અંતર્ગત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

BA અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, કિરણ સાથે 2019માં લગ્ન થયા છે. સાસુ-સસરા અમારા લગ્ન આર્ય સમાજમાં કરાવવા માગતાં હતા, પરંતુ અમે લગ્ન ધામધૂમથી કરતા સાસુ-સસરા લગ્નમાં આવ્યા ન હતા. લગ્ન બાદ પોતે પતિ સાથે રાજકોટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અને પછી અમે મારા માતા-પિતાના ઘરે રહેતા હતા.

આ સમયે પતિ કોઇ કામકાજ કરતા ન હતા મારા માતા-પિતા અમારું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન સસરાની તબિયત લથડતાં પતિ કિરણ ખબર કાઢવા જામનગર ગયા હતા. થોડા દિવસ પછી પતિએ ફોન કરીને પોતાને નોકરી મળી ગઇ છે તારી ડિલિવરી પછી તને તેડી જઇસની વાત કરી હતી. પુત્ર જન્મના ત્રણ મહિના બાદ પતિ તેને જામનગર લઇ ગયા હતા. ત્યાં અમે ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યારે સાસુ અને નણંદ ઘરે આવી ઘરકામ મુદ્દે મેણા મારી પતિને ચઢામણી કરતા હતા.

જેને કારણે પતિ પોતાની સાથે ઝઘડો કરી માર મારતા હતા. પછી પતિને પથરીનો દુખાવો થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. સારું થઇ જતા પતિ ચારેક દિવસ પોતાને અને પુત્રને એકલા મૂકી સાસુ-સસરા સાથે રહેવા જતા રહ્યા હતા. જેથી પોતે પિયર આવી ગઇ હતી.

થોડા દિવસ પછી સમાધાન કરી પતિ ફરી પોતાને જામનગર લઇ ગયા હતા. ત્યારે પતિને તેના મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળતા પતિને વાત કરી હતી. જેથી પતિ ઉશ્કેરાય જઇ પોતાને માર મારી પુત્રને બહાર ફેંકવાની કોશિશ કરી હતી. પતિ અવારનવાર તેના મિત્રોને ઘરે બોલાવી ઘરમાં દારૂ અને ગાંજો પીતો હોતો તેનો વિરોધ કરતા માર મારતો.

એટલું જ નહિ રોજ ઘરે આવતી પતિના મિત્રની પત્નીને ઘરે આવવાની ના પાડવાનું કહેતા પોતાને ઘરની બહાર શેરીમાં લઇ જઇ પાડોશીઓની હાજરીમાં ઢોરમાર મારતો. પતિના ત્રાસથી પોતે પુત્રને લઇ પિયર આવી હતી. ત્યારે નણંદનું અવસાન થતા પોતે સાસરે જતા સાસુ-સસરાએ પણ પોતાને માર મારતા ફરી પિયર આવી ગઇ હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.