સસ્તામાં મકાન પડાવવા વૃદ્ધ પર બે ઇસમોએ ખૂની હુમલો કર્યો

copy image

રાજકોટમાં વધુ એક હત્યાની કોશિશનો બનાવ પ્રકાશમાં આવ્યો. દોઢસો ફૂટ રિંગ રોડ, આંબેડકરનગર-2માં રહેતા દેવેન્દ્રભાઇ છગનભાઇ ચાવડા નામના આધેડે પાડોશમાં જ રહેતા અતુલ નરેશ અને દર્શન રસિક પરમાર નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા આધેડની ફરિયાદ મુજબ, શુક્રવારે સાંજે ધારેશ્વર ડેરી પાસે રાખેલું પોતાનું વાહન લેવા ઘરેથી નીકળ્યા હતા.

ત્યારે સામે જ રહેતા દર્શન અને તેનો મિત્ર અતુલ બંને પાછળ પાછળ આવ્યા. થોડે આગળ જતા દર્શને તેમને ઊભો રાખ્યો હતો. અને તમારું મકાન ખાલી કરીને જતા રહો અથવા અમને સસ્તામાં મકાન આપી દેવાની વાત કરી હતી. જેથી પોતાને મકાન વેચવાનું ન હોવાનું કહ્યું હતું.

ત્યારે દર્શન ઉશ્કેરાય જઇ પોતાને ગાળો ભાંડવા લાગ્યો હતો. ગાળો દેવાની ના પાડતા તેઓ તેમને માર મારવાની તૈયારી સાથે લોખંડનો પાઇપ લઇને આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. બંને હાથમાં પાઇપના ઘા ઝીંકતા તેમને ગંભીર ઇજા થઇ હતી. પછી દર્શને તેમને પકડી રાખી અતુલે આજે તો દેવેન્દ્રને જાનથી મારી જ નાંખવો છે, તેને જીવતો રહેવા દેવો નથી ની ધમકી આપી તેને પણ પાઇપના ઘા ઝીંક્યા હતા. હુમલામાં માથામાં તેમજ હાથમાં ઇજા થઇ હતી તે બૂમો પાડવા લાગતા લોકો એકઠા થઇ ગયા હતા.

જેને કારણે બંને ઇસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા. પછી તેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં માથામાં ગંભીર ઇજા અને બંને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઇ હોવાનું તબીબે જણાવ્યું હતું. બનાવની જાણ થતા માલવિયાનગરના PI આઇ.એન.સાવલિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત દેવેન્દ્રભાઇની ફરિયાદ પરથી ખૂની હુમલાનો ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે