દુબઈ ટૂરના નામથી 2 હજાર લોકો સાથે કરોડોની છેતરપિંડી


હાલમાં દિવાળી પ્રવાસ માટે દુબઈ લઈ જવાના નામથી એર ટિકિટ સહિત એક વ્યક્તિના 70 હજાર વસૂલીને 2 હજાર લોકો સાથે ઠગાઇ કરનાર કિરણ ચૌહાણ નામના પ્રોપરાઇટર સામે ગ્રાહક સુરક્ષામાં 50થી વધુ ફરિયાદ દાખલ કરાઇ છે. ફરિયાદમાં 4થી 11 ઓક્ટોબર સુધી દુબઈ ટૂરની જાહેરાતો કરી તેમના પાસપોર્ટ કે એરટિકિટ આપ્યા વિના ઓફિસ બંધ કરી નાસી ગયા હોવાની રજૂઆત કરવામાં આવી છે, જે પૈકી મોટા ભાગના ભોગ બનેલા ગ્રાહકોએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા રજૂઆત કરવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, શિવરંજનીના ઇસ્કોન સેન્ટરમાં આવેલા કે. સી. હોલિડે ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક ટૂર ઓર્ગેનાઇઝરે દુબઈ માટે 6 રાત્રી અને 7 દિવસની ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. તે માટે જાહેરાત કરી 2 હજાર ગ્રાહકો પાસેથી એક ટિકિટ લેખે 70 હજાર લઈ એડવાન્સ બુકિંગ કર્યું હતું. પ્રવાસને ત્રણ દિવસ જેટલો સમય બાકી હોવાથી ગ્રાહકો ટૂર બુકિંગની ઓફિસે પાસપોર્ટ અને એરટિકિટ લેવા ગયા હતા, પરંતુ તે પહેલાં જ ઓફિસ બંધ કરીને સમગ્ર સ્ટાફ ફરાર ગયો હતો.
ગ્રાહકો સાથે કરોડોની ઠગાઇ થતા આક્રોશ ફેલાયો હતો.આથી ગ્રાહક સુરક્ષાના પ્રમુખ મુકેશ પરીખે મોટા કૌભાંડની આશંકાને સંદર્ભે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક આ કેસમાં ગ્રાહકોને તેમનું સંપૂર્ણ રિફંડ પરત અપાવવા રજૂઆત કરાઈ છે.