2 વર્ષ અગાઉના ઝઘડાની અદાવતમાં યુવકને છરી મારી મોત નિપજાવ્યું

બે વર્ષ પૂર્વે થયેલા ઝઘડાની અદાવતમાં સરસપુર આચાભાઈની ચાલી નજીક પાનના ગલ્લે એક યુવક પર બે સખશોએ છરીથી હુમલો કર્યો હતો. આ યુવકને ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડાયા બાદ ટૂંકી સારવારના અંતે તેનું મૃત્યુ થયું હતુ. આ અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સરસપુરની આચાભાઈની ચાલીમાં રહેતા સુરેશભાઈનો 22 વર્ષીય પુત્ર પવન ગરબા રમવા ગયો હતો. ત્યારે રાત્રે ઘરે આવી પડી જતાં પિતા સુરેશભાઈ જાગી ગયા અને જોયું તો પવનને છાતીના ભાગમાં છરીના ઘા મારેલા હતા અને ગંભીર રીતે ઘાયલ હતો. જે વિષે પિતાએ પૂછતાં પવને કહ્યું કે પાનના ગલ્લે કેતન પરમાર તથા તેનો મિત્ર ભાવિક ઉર્ફે ભાવાએ ઝઘડો કરીને છરીના ઘા મારીને જતા રહ્યા હતા. ત્યાર પછી પિતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જો કે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે પવનને મૃત ઘોષિત કર્યો હતો.

આ અંગે મૃતક પવનના પિતા સુરેશભાઈએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં કેતન પરમાર તથા ભાવિન ઉર્ફે ભાવાના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી કેતન પરમારનો ભાઈ દીપક પરમાર બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી હોવાથી શહેરકોટડા પોલીસ ફરિયાદ નહીં દાખલ કરે તેવુ માનીને 40 થી 50 લોકોનું ટોળુ શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ત્યારબાદ  પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવવા લાગ્યા હતા. જો કે પોલીસ સ્ટેશનના પીઆઈએ આ અંગે ફરીયાદ નોંધાઈ ગઈ તેમજ આરોપીની પણ અટકાયત કરી હોવાનું જણાવ્યું હતુ. જેથી મૃતકના પરિવારજનોએ અંતિમક્રિયા કરી.