મોટા કરાળા ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં ચાલકનું મૃત્યુ

રાજપીપળાથી ડભોઈ તરફ ગતરાત્રીએ પસાર થઈ રહેલી કાર એકાએક રોડની બાજુમાં આવેલ નર્મદા કેનાલમાં ખાબકતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચેલી શિનોર પોલીસે મૃતકને કેનાલમાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડવવાની તજવીજ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રીના સમયે ડભોઇ તાલુકાના સેજપુરા ગામમાં રહેતાં 30 વર્ષીય ઉત્સવ ગોપાલ મહંત પોતાની કાર લઈને રાજપીપળા-સેગવા-ડભોઈ માર્ગ ઉપરથી પોતાના ઘરે સેજપુરા જતાં હતા તે દરમિયાન શિનોર તાલુકાના મોટા કરાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે આવતાં ઉત્સવ મહંતે એકાએક કાર ઉપરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલ નર્મદા કેનાલમાં પડી ગઈ હતી.

જે વિશેની જાણ રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓએ શિનોર પોલીસને કઋ હતી. જેના પગલે શિનોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જી.સી.બી.મશીન વડે કેનાલમાં પડેલી કારને બહાર કાઢી હતી. જેમાં કારમાં સવાર ઉત્સવ મહંતનું મૃત્યુ થતાં શિનોર પોલીસે ઉત્સવ મહંતના મૃતદેહને બહાર કાઢી અકસ્માત મોત નોંધી પીએમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.