બાખલવડ અને દેવપરાની 3750 વીઘા જમીન ડૂબમાં જતાં ખેડૂતોનો ફરી આક્રમક


જસદણ તાલુકાના બાખલવડ અને દેવપરા ગામના 100 જેટલા ખેડૂતોએ આલણસાગર ડેમનું પાણી કેનાલ મારફત છોડવા સહિતની માંગ સાથે જસદણ પ્રાંત અધિકારી આર.જી.આલને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, બાખલવડ ગામે 122 વર્ષ જૂનો આલણસાગર ડેમ આવેલ છે. તે ડેમ છલકાતાં બાખલવડ અને દેવપરાની 3750 વીઘા જમીન ડૂબમાં જાય છે. આ ડેમનું પાણી કેનાલ થકી છોડવામાં આવતું હતું. પરંતુ 15 વર્ષથી આલણસાગર ડેમનું પાણી જેતે અધિકારી અને સરકાર દ્વારા મનફાવે ત્યારે છોડવામાં આવી રહ્યું છે.
આથી ખેડૂતો વાવેતર કરી શકતા નથી. આ ડેમમાં મનફાવે ત્યારે સૌની યોજનાનું પાણી છોડે છે. જેથી હવેથી જ્યારે પણ સૌની યોજનાનું પાણી નાખવાનું થાય ત્યારે બન્ને ગામના ખેડૂતોને અને ગ્રામજનોને જાણ કરવામાં આવે પછી પાણી નાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. જો અગાઉ ખેડૂતોને જાણ કરવામાં આવે તો તેમનો ઉભેલો પાક તે લઈ શકે અને ખેડૂતોને નુકસાની ન થાય. જો આગામી 15 દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહી આવે તો બન્ને ગામના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી અંતમાં ચીમકી આપી છે.