જસદણની મુખ્ય બજારમાં રોડનું કામ પૂર્ણ થયું છતાં પણ બાવળની આડશ હટાવાતી નથી


જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા મેઈન બજારમાં તાજેતરમાં જ નવો RCC રોડ બનાવવામાં આવ્યો છે. જોકે આ રોડનું કામ પણ હવે પૂર્ણ થઈ ગયું છે. પરંતુ કોન્ટ્રાક્ટરે આ રોડમાં આડશરૂપી મુકેલા બાવળો હટાવતા નથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જસદણની મેઈન બજારના આ રોડમાં કોન્ટ્રાક્ટરે મનફાવે ત્યાં બાવળો અને માટીના ઢગલા ખડકી દીધા હોવાથી ગ્રાહકો અને વેપારીઓને ચાલવું મુશ્કેલ બની ગયું છે. છતાં જસદણ નગરપાલિકા તંત્રની આંખ ઉઘડતી ન હોવાથી નગરજનો અને વેપારીઓમાં ભારે નારાજગી ઉઠવા પામી છે.
ત્યારે સવાલ એ થાય છે કે, જસદણની મેઈન બજારના રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે, છતાં રોડમાં આડશરૂપી મુકેલા બાવળો કેમ હટાવાતા નથી? શું આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે? જેને ઢાંકવા માટે આ બાવળો ખડકી રખાયા છે? વગેરે જેવા સવાલો જસદણના જાગૃત લોકોમાં ઉઠી રહ્યા છે. જેથી જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા દ્વારા તાત્કાલિક આ રોડમાં નડતરરૂપ પડેલા બાવળોને માટીના ઢગલાને હટાવવાની કામગીરી કરાવવામાં આવે તેવું જસદણના જાગૃત નગરજનો ઈચ્છી રહ્યા છે.