જસદણમાં દરજીકામ કરતા યુવાને  ફાંસો ખાઇ આપઘાત કર્યો 

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા અને શહેરના સરદાર માર્કેટમાં પાટીદારવાળી શેરીમાં સિદ્ધિ વિનાયક ટેઈલરના નામે દુકાન ચલાવતા જગદીશ મૌલેશભાઈ ગોહિલ (ઉ.વ.38) એ કોઈક કારણોસર પોતાની દુકાનમાં રહેલા પંખામાં કપડું બાંધી ફાંસો ખાઈ લેતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની જાણ થતાં તેના પરિવારજનો તાત્કાલિક દુકાન ખાતે દોડી આવ્યા હતા અને મૃતકને પોલીસ સ્ટાફની હાજરીમાં નીચે ઉતારી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ઘેરોશોક છવાઈ ગયો હતો. આ બનાવમાં જસદણ પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશને જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની તપસ હાથ ધરી. આ બનાવમાં મૃતકના નાનાભાઈ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ દરરોજ બપોરે જમવા માટે ઘરે આવે છે.

પરંતુ આજે સાંજના 7 વાગ્યા સુધી ઘરે જમવા ન આવતા હું દુકાને ગયો ત્યારે મારા મોટાભાઈ પંખા સાથે લટકતા હતા. જેથી મેં મારા પરિવારને જાણ કરી અને પછી જસદણ પોલીસને જાણ કરી. મારા ભાઈના 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેને 2 વર્ષની એક દીકરી છે. પરંતુ મારા મોટાભાઈએ ક્યા કારણોસર આ પગલું ભરી લીધું તે અમને ખ્યાલ નથી. હાલ આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.