નગરપાલિકાના વાહનોને પેટ્રોલ પંપે ચુકવણું ન થતા ઈંધણ દેવાનું બંધ કરવાની નોબત

ગાંધીધામ નગરપાલિકાની તિજોરીની પરિસ્થિતિ લાંબા સમયથી બેહાલ બની રહી છે, પરંતુ ગત દિવસોમાં એવી પણ ઘટના સામે આવી કે નગરપાલિકા જે પેટ્રોલપંપ પાસેથી પોતાના વાહનોમાં ઈંધણ પુરાવે છે, તેણે નગરપાલિકાનું ખાતુ બંધ કરીને ઈંધણ સપ્લાય કરવાનું બંધ કરી દીધુ હતું. CO ના ધ્યાને આ બાબત જતા જોકે સમસ્યાનું તુરંત નિદાન કરાયાનું જાણવા મળે છે, પરંતુ આ પ્રકારની ઉભી થઈ રહેલી પરિસ્થિતિઓ પોતે એક સવાલ છે. નોંધવુ રહ્યું કે અગાઉ શહેર આખાની સફાઈનો ઠેકો જેને અપાયો છે તે દરબાર વેસ્ટ કોર્પોરેશન અને અન્ય નાની મોટી એજન્સીઓએ પણ ચુકવણુ ન થતા કામકાજ બંધ કરી દીધુ હતું.

ગાંધીધામ નગરપાલિકા આમ તો રાજ્યની સૌથી મોટી પાલિકા છે, પરંતુ તેની તિજોરીની હાલત નિમ્ન સ્થિતિનો પરિચય કરાવે તેવા હાલતમાં આવી પહોંચી છે. સુત્રો એવો દાવો કરી રહ્યા છે કે આ સમયગાળામાં નગરપાલિકાના ભંડોળની આવીજ પરિસ્થિતિ હોય છે, પરંતુ ગત બે મહિનામાં એક નહિ પરંતુ બબ્બે વાર સફાઈ કરતા ઠેકેદારોએ કામ બંધ કરી દેતા ગામ આખામાં કચરાના ઢગલા ઉભા થઈ ગયાની ઘટના બની હતી, ત્યારબાદ કેટલાક અંશે બીલનું ચુકવણુ કરાતા અને બાકીના વાયદાઓ પડ્યા બાદ ફરી મામલો થાળે પડ્યો હતો.

તો બીજી તરફ તાજેતરમાં ગાંધીધામના ટાગોર રોડ પર આવેલા એક પેટ્રોલપંપ કે જ્યાં નગરપાલિકાના વાહનોમાં ઈંધણ પુરાવવાનું ખાતુ ચાલે છે, તેનું બીલ લાંબુ થઈ ગયું હતું અને ચુકવણુ પાલિકાથી થતું ન હતું. જેના કારણે પેટ્રોલ પંપે સુધરાઈને પેટ્રોલ, ડીઝલ આપવાનું જ બંધ કરી દીધુ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે નગરપાલિકાના સુત્રોએ ઘટના બની હોવા અંગે સહમતી દર્શાવી પરંતુ CO ના ધ્યાનમાં તે આવતાજ નિકાલ કરાયો હતો તેવો દાવો કરાયો હતો.