કીમામલીમાં ખેતરમાં મજૂરીએ ગયેલી વિધવા મહિલાના ગળા પર તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી લાશ ફેકી દેવાતા ચકચાર મચી

કીમામલી ગામેથી મજૂરી કામ કરતી 45 વર્ષીય વિધવા મહિલાને ગળામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરીને અજાણ્યો હત્યારો લાશ ખેતરમાંથી ફેંકી ભાગી ગયો હતો. હત્યાની આ ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના કીમામલી ગામમાં મોટું ફળિયું નવા હળપતિ વાસમાં રહેતી કોકિલાબેન ભાઈલાલભાઈ રાઠોડ (45) વિધવા મહિલાની હત્યા નિપજાવેલી હાલતમાં લાશ ગામમાં આવેલ સુનિલ પટેલના ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી હતી. ઘરેથી મજૂરી કામ માટે નીકળેલી કોકિલાબેન ખેતરમાં કામ કરતા સમયે કોઈક અજાણ્યાંએ ગળાના ભાગમાં તીક્ષ્ણ હથિયારથી લોહીલુહાણ કરી હત્યા નિપજાવીને ફરાર થઈ ગયો હતો.

સ્થાનિકો દ્વારા સાંજના સાડા ચાર વાગ્યાના સમયગાળામાં કીમામલી ગામમાં આવેલ સુનિલ પટેલના ખેતરમાં લાશ પડી હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. તેમને જાણ થતાં સ્થળ પર પહોંચતા ઘાસના પુડાની બાજુમાં કોકિલાબેનની ગળામાંથી લોહી નીકળતો મૃતદેહ જોતા પરિવાર ચોંકી ગયો હતો. ઘટના વિશે કીમ પોલીસને જાણ થતાં કીમ પીઆઇ જે.જી મોડ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કીમ પોલીસે હાલ ઈપીકો કલમ 302 અનુસાર હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.