બારડોલીના સુરાલી ગામમાં જમાઈએ જ સસરાને ગળે ટુપો દઈ મૃત્યુ નિપજાવ્યું

બારડોલી તાલુકાના સુરાલી ગામમાં રહેતા 50 વર્ષીય સસરાનું જમાઈએ જ મોત નિપજાવી દીધું હતું. ખેતરમાં કમળાની દવા લેવા માટે ગયેલા સસરાને કાપડની પટ્ટીથી ગળે ટુપો દઈ જમાઈએ હત્યા નિપજાવી હતી. હાલમાં પોલીસે જમાઈની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર બારડોલીના સુરાલી ગામમાં બાવળી ફળિયામાં રહેતા 50 વર્ષીય સુમનભાઈ છનાભાઈ ચૌધરી કે જે કમળાની દવા આપવાનું કામ કરે છે. ગતરોજ સાંજના 5 વાગ્યા દરમિયાન સુમનભાઈ કમળાની દવા લેવા માટે બાવળી ફળિયામાં આવેલ રમણભાઈ ચૌધરીના ખેતરમાં ગયા જ્યાં સુમનભાઈનાં 37 વર્ષીય જમાઈ અતુલ કૌશિકભાઈ ચૌધરીએ સસરાને ગળામાં કેશરી કલરના કાપડની પટ્ટીથી ટુપો દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. અતુલભાઈનાં શરીરે અને મોઢાના ભાગમાં ઇજાના નિશાન મળી આવ્યા હતા.

સમગ્ર બાબતે બારડોલી રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરાતા બારડોલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મરનાર સખ્શની પત્નિએ પોલીસને જણાવ્યુ હતું કે, જમાઈ અતુલ અવાર નવાર ઘરે આવીને તકરારો કરતો ઉપરાંત સુમનભાઈને માર પણ મારતો હતો. જેથી જમાઈએ જ હત્યા કરી હોવાનું જણાવતા પોલીસે હાલમાં હત્યારા જમાઈની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.