ગરબા જોઈ પાછા ફરી રહેલા 11 વ્યક્તિઓને કારે ટક્કરે લેતા એકનું મોત


જામનગરના દરેડ વિસ્તારમાં ચારણવાસમાં રહેતાં પ્રૌઢા તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના ગરબી જોઇ પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન રાંદલ માતાજીના મંદિર પાસે પૂર પાટે આવતી સફેદ કલરની કારના ચાલકે પ્રૌઢા સહિત 11 વ્યક્તિઓને ટક્કરે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતીનું મૃત્યુ નીપજયું છે.
ઘટનાની માહિતી અનુસાર જામનગર તાલુકાના દરેડ ગામમાં ચારણવાસમાં રહેતા કુંવરબેન રાણસુરભાઈ રવશી તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના સમયે ગરબી જોઇને પરત ફરી રહ્યા હતાં તે દરમિયાન રાંદલ માતાજીના મંદિર પાસે પૂર પાટે આવતી સફેદ કલરની કારના ચાલક જેઠા નાગશી ગઢવીએ પ્રૌઢા તેમજ તેના પરિવારજનો સહિતના 11 વ્યક્તિઓને ઠોકરે લીધા હતા. જેમાં પ્રૌઢા અને તેમના પુત્ર તથા પુત્રીઓ સહિતનાઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે આલીબેન ઉર્ફે આલુ રામસુર રવશી ઉ.20 નામની યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું.
કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા 11 વ્યકિતઓને અડફેટે લીધા હતા, બાદમાં કાર નાઘેડી તરફના રસ્તે પલટી મારી ગઇ હતી. ત્યારપછી ચાલક કાર મૂકી પલાયન થઈ ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઇ આર.એ. વાઢેર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી કુંવરબેનના નિવેદનના આધારે કારચાલક જેઠા નાગશી ગઢવી સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.