જખૌના દરિયામાં માગરોળની બોટ પર પાકિસ્તાની મરિન સિક્યુરીટી એજન્સીએ ફાયરીંગ કરતાં બોટ દરિયામાં ડૂબી


અબડાસા તાલુકાના જખૌ દરિયામાં માંગરોળની બોટ પર પાકિસ્તાની મરિન સિક્યુરીટી એજન્સીએ ગુરુવારે સાંજે ફાયરીંગ કરતાં બોટ દરિયામાં ડૂબી હતી, જેને ઓખા કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા બોટમાં સવાર 8 માછીમારોને તાત્કાલિક બચાવી લેવાયા હતા. ઘાયલ થયેલા માછીમારોને જખૌ પોલીસ મથકને સોપવામાં આવતા મરિન પોલીસ આગળની કાર્યવાહી કરી હતી. જોકે, દીવ અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક માછીમારો ઘાયલ થયા તેની વિગતો મળી નથી.
અતિ સંવેદનશીલ ગણાતા કચ્છના સમુદ્રમાં માછીમારોની સિઝન શરૂ થઇ છે અને એજન્સીઓ દ્વારા પેટ્રોલીંગ સઘન કરાયું છે. તે વચ્ચે ગુરૂવારે સાંજે પાંચ વાગ્યાના સમયગાળામાં માંગરોળની આઇએનડી જી.જે.11-એમએમ-3873, હરસિધ્ધિ-5 નામની માછીમારી બોટ જખૌ અને ઓખા તરફના અરબી સમુદ્રમાં ફિશિંગ કરી રહી હતી તે દરમિયાન જખૌ નજીક પહોંચતાં પાકિસ્તાની મરિન સિક્યુરીટી દ્વારા બોટ ફાયરીંગ કરાતા આ બોટ ડૂબી ગઈ હતી.
પેટ્રોલીંગમાં રહેલી ઓખા કોસ્ટગાર્ડની ટીમ દ્વારા તાત્કાલિક ઓપરેશન કરીને બોટમાં સવાર સાત ખલાસીઓને બચાવી લેવાયા હતા. જેમાં વણાકબારા-દીવના અમરશી માવજી બામણીયા (ઉ. વ.35), પ્રકાશ માવજી બામણીયા (ઉ. વ.24), કૃણાલ વિનોદ બામણીયા (ઉ.વ.22), કૃણાલ વિનોદ બામણીયા (ઉ. વ.23), પ્રેમ વીરા બામણીયા (ઉ.વ. 22), કાંધીપડા – ઉનાના કાળુભાઈ ગોબરભાઈ સાંખળ (ઉ.વ.27), કોડીનાર-ગીર સોમનાથના મહેશ માનસિંગ વાજા (ઉ.વ.27), ચિત્રવાડા-ગીર સોમનાથના મહેન્દ્ર ભીખાભાઇ મકવાણા (ઉ.વ.37) નામના ઘાયલ તમામ માછીમારોને બચાવીને ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે સારવાર અર્થે જખૌ પોલીસ મથકને સોંપ્યા હતા.
આ અંગે જખૌ મરિન પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગોળીબારથી અથવા ડૂબવાથી કેટલાક માછીમારો ઘાયલ થયા છે, પરંતુ તેમના નામ અને વધુ માહિતી રાત સુધી મળી ન હતી.