ટ્રકોમાં ભેળસેળ કરી 99.11 લાખનો કોલસો ઓળવી જવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ

કંડલા-ગાંધીધામથી નિકળતી કોલસા ભરેલી ટ્રકોમાં જતા કોલસા તસ્કરી એક વધુ મનસૂબો સામે આવ્યો છે ,જેમાં ભારાપરની કંપનીએ અલગ અલગ ટ્રકો વડે પઠાણકોટ મોકલેલા સારી ગુણવત્તાના સ્ટીમ કોલસામાં ભેળસેળ કરી રૂ.99.11 લાખનો કોલસો ઓળવી જઇ નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ કંપનીના મેનેજરે બી-ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાવી હતી.

મુળ ઉત્તરપ્રદેશના હાલમાં ગાંધીધામ રહેતા અને ડી.બી.ટ્રેડલિન્ક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કેશરીનંદન મૃત્યુંજય દ્વિવેદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમની કંપની દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયાથી વિદેશી કોલસો આયાત કરી ભારાપર નજીક આવેલા કંપનીના ગોડાઉનમાં સંગ્રહ કરી તેના લેબોરેટરી ટેસ્ટ કરી આ કોલસાનો જથ્થો ભારતના અલગ અલગ રાજ્યમાં મોકલવાનું કાર્ય કરે છે. તા.3/9 થી તા.14/9 દરમિયાન તેમની કંપનીએ ગાંધીધામના આર.એસ.લોજિસ્ટિક ના માલિક રાકેશભાઇ સાથે પઠાણકોટ મોકલવાનો ઓર્ડર નક્કી કર્યો હતો.

ભારાપરથી સ્ટીમ કોલસો ભરીને નિકળેલી ટ્રકો નિર્ધારિત સમયે ન પહોંચતાં આર.એસ.લોજિસ્ટિક ના માલિકનો સંપર્ક કરતાં પહોંચી જશે તેવું આશ્વાસન આપ્યા પછી એક ટ્રક પહોંચતાં પઠાણકોટ મધ્યે સેમ્પલિંગ કર્યું તો ભેળસેળ કરેલી જણાતાં ટ્રક ચાલક બલકરણસિંગ ગદુરસિંગને પુછતાં તેણે ભારાસરથી નીકળ્યા પછી ભેળસેળ કરવામાં આવી હોવાની કબૂલ કરતાં બાકીની ટ્રકો પણ રોકાવી સેમ્પલીંગ કરવામાં આવ્યું હતું.

જેમાં ભેળસેળ કરી સારી ગુણવત્તા ધરાવતો સ્ટીમ કોલસો ચોરી થયો હોવાનું સામે આવતાં તેમણે 9 ટ્રક ચાલક, સાચોર રાજસ્થાનના તેજારામ, અનવરખાન, આલમભાઇ અને તપાસમાં જે નિકળે તેમના સામે કંપનીને રૂ.99,11,677 નું નુકશાન પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

કંડલાથી ટ્રકમાં નિકળતા આયાતી કોલસાની ટ્રક ચાલકો સાથે મળી અસલ કોલસામાં માટી ભેળસેળ કરાતી હોવાનું ચોરીનું ષડયંત્ર તો વર્ષ-2021 ના ફેબ્રુઆરી માસથી ગુંજે છે જેમાં અવાર નવાર ટ્રાન્સપોર્રોનો ગાંધીધામ-કંડલાથી નિકળતા કોલસાના જથ્થાની ભેળસેળને લીધે મોટું નુકશાન પહોંચુ હોવાને કારણે ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોશિયસન દ્વારા ગાંધીધામ, કંડલા મરિન, ભચાઉ, સામખિયાળી, આડેસર અને લાકડિયા પોલીસ મથકે આ અંગે ફરિયાદ કર્યા પછી તત્કાલિન પૂર્વ કચ્છ એસપી, પાટણ એસપી તેમજ કચ્છ કલેક્ટર ને તથા રાજસ્થાન સુધીના પોલીસ મથકો અને અધીકારીઓને આ અંગે રજુઆતો કરી સમસ્યામાંથી મુક્ત કરાવવા માંગ કરી ચુક્યા હતા.

ભારાપરથી પઠાણકોટ જવા નીકળેલા સ્ટીમ કોલસો ભરેલા વાહનોમાંથી સારી ગુણવત્તા ધરાવતો કોલસો કાઢી લઇ હલકી ગુણવત્તાનો ભેળસેળ કરી ચાલક બલકરણસિંગે આપેલી કબૂલાતમાં ભારાપરથી રાજસ્થાનના સાંચોર મધ્યે આવેલા તેજારામના વાડે ટ્રકો પહોંચી હતી અને ત્યાં જ આ ભેળસેળ કરી સારી ગણવત્તાનો કોલસો ચોરાયો હોવાનું જણાવ્યું હતું.

આ અંગે કબૂલાત આપનાર ટ્રક ચાલક બલકરણસિંગે કબૂલાતમાં જણાવ્યું હતું કે ભારાપરથી સ્ટીક કોલસો લોડ કરી આ જથ્થો સાંચોર તેજારામના વાડે લઇ જવામાં આવ્યો હતો જ્યાં ભેળસેળ કરવામાં આવી હતી અને આ કામ પેટે તેને રૂ.16 હજાર તેજારામે આપ્યા હોવાનું પણ તેણે જણાવ્યું હતું.