માથાભારે કેદીઓની દાદાગીરી વધતી હોવાની ફરિયાદ

copy image

ગોંડલની સબજેલમાં જેલ સહાયક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ચાર કેદીઓએ હાથ પર કાચના છરકા મારી આત્મહત્યાના પ્રયાસ ની ઘટના ની સનસની હજુ શાંત પડી નથી ત્યાંજ જેલના કર્મચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશકને પત્ર લખી જેલમાં રહેલા અમુક માથાભારે કેદીઓ દ્વારા ત્રાસ અપાતો હોવાની રજૂઆત કરાતા ‘ ઉલ્ટી ગંગા’ સમી ઘટના ચકચારી બની છે. ચાર કેદીઓ દ્વારા કાચથી હાથ પર છરકા મારી આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો. આ કેદએ એક જેલ કર્મચારી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ બનાવ અંગેની હજુ તપાસ ચાલુ છે ત્યાં જ સબજેલ સ્ટાફ ના તેર જેટલા ગાર્ડિંગ કર્મચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશકને ત્રણ પાનાનો પત્ર પાઠવી જેલ કર્મચારીઓનું મોરલ તુટે તે પ્રકારે કેટલાક માથાભારે કેદીઓ મનમાની ચલાવી ત્રાસ ગુજારતા હોવાની રજૂઆત કરી છે. જેમાં જણાવાયુ છે કે સબજેલમાં કેટલાક માથાભારે કેદીઓ દ્વારા જેલમાં અનધિકૃત પ્રવૃતિઓ કરવા દેવા અને અનધિકૃત વસ્તુઓ લેવા દેવા માટે જેલ સ્ટાફ નડતરરૂપ ન થાય તે માટે જેલ અધિક્ષકને સ્ટાફ વિરુદ્ધ ખોટી રજૂઆતો કરી સ્ટાફનુ મોરલ તોડવા પ્રયત્નો કરાઇ રહ્યા છે.

આવા કેદીઓ દ્વારા ખોટી માંદગી ઉભી કરી જાપ્તા સાથે સિવિલ હોસ્પિટલ લઈ જવાતી વેળા જેલ કર્મચારીઓ સાથે રસ્તા મા અભદ્ર વર્તન કરાય છે. જેલ અધિક્ષક ગમારા રજા પર હતા ત્યારે ચાર્જમા આવેલા અધિકારી ગઢવીએ આવા માથાભારે કેદીઓ સામે કડક કામગીરી કરી હતી તેથી જેલમાં શાંતિ હતી.

જેલ અધિક્ષક ગમારા ફરજ પર હાજર થતા આવા તત્વો દ્વારા ફરી ત્રાસ શરૂ કરાતા કર્મચારીઓને ડર છે કે આ કેદીઓ દ્વારા ખોટા આક્ષેપોને કારણે સ્ટાફને કોઈ પણ પ્રકારની શિક્ષા થાય કે સસ્પેન્ડ થવાની ભીતી છે. થોડા સમય પહેલા હવાલદાર જગદીશભાઈ સોલંકી પર સ્ટોરના કેદી દ્વારા હુમલો કરાયો હતો. જેલસ્ટાફને નહી ગાંઠતા માથાભારે કેદીઓ દ્વારા જેલમા સંગઠન બનાવી જેલસ્ટાફને માનસિક તો ક્યારેક શારીરિક ત્રાસ અપાતો હોવાની વિગતો રજૂઆતમાં જણાવાઇ છે.