ક્ષાર અંકુશ વિભાગે ચેકડેમ બનાવી લીધો પણ 12 વર્ષથી ચુકવણું ન કરવામાં આવતા અંતે કંટાડેલા યુવકે બહુમાળી ભવનમાં આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો


શહેરના બહુમાળી ભવનમાં મંગળવારે બપોરે એક યુવાને શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયત્ન કરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ક્ષાર અંકુશ વિભાગ દ્વારા છેલ્લા 12 વર્ષથી ચેકડેમનું ચુકવણું અટકાવી દેવામાં આવતા અંતે કંટાડીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. શિવકૃપાનગરમાં રહેતા અરજદાર નીતિન ભૂરાલાલ વ્યાસે જણાવ્યું કે, વર્ષ 2010માં ક્ષાર અંકુશ વિભાગ દ્વારા 80/20 ની યોજના તળે ચેકડેમ બનાવવા માટે તેમના પિતાને વર્ક ઓર્ડર અપાયો હતો. જેથી તેમના પિતાએ લખપત તાલુકાના કપુરાશી ગામમાં વર્કઓર્ડર મુજબ ચેકડેમ બનાવી આપ્યો હતો.
બાદમાં જ્યારે પેમેન્ટ માટે વિભાગમાં ગયા ત્યારે તેઓએ તેમ કહ્યું કે, ચેકડેમ ભલે બની ગયો પરંતુ અમે ચેકડેમ બનાવવા માટેની મંજૂરી લેવાનું સરકારમાંથી ભૂલી ગયા છીએ. જેથી હાલ તુરંત ચુકવણું થઈ નહીં શકે તેમ કહી હાથ ખંખેરી લેવામાં આવ્યા હતા.વિભાગ પાસે કામ પેટે 5,84,938 લેવાના થાય છે.પરંતુ અવારનવાર ધક્કાઓ ખવડાવી માત્ર વાયદાઓ અપાયા હતા.
સરકારી કચેરીમાં ધક્કા ખાઈને હેરાન થઈ ગયા અને તેઓ વર્ષ 2016માં અવસાન પામ્યા તે બાદ પુત્ર નીતિને સરકારી કચેરીઓના ધક્કા ખાવાનું શરૂ કર્યું અને આ બાબતે કલેકટર, સિંચાઈ વર્તુળની કચેરી, ગૃહ મંત્રી, મુખ્યમંત્રી સહિત તમામ સરકારી વિભાગોમાં પત્ર વ્યવહાર કર્યા.
સ્વાગત કાર્યક્રમમાં પણ પ્રશ્ન રજૂ કર્યો જો કે હમેશા સરકારી અધિકારીઓ દ્વારા જવાબદાર એવા આ વિભાગને આ મામલે ઝડપી કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું પરંતુ 12-12 વર્ષ વીતી જવા છતાં પણ ચુકવણું ન થતા છેવટે ત્રસ્ત થઈને મંગળવારે બપોરે નીતિન વ્યાસ બહુમાળી ભવનમાં કેરોસીનનું ડબલુ લઈને આવ્યા અને જાહેરમાં આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. જોકે સ્થળ પર હાજર પોલીસ કર્મચારી તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ અટકાયતના પગલા ભર્યા હતા.અરજદારે તેમનું ચુકવણું ઝડપથી થાય તેવી માંગ કરી છે.
છેલ્લા 12 વર્ષથી 5.85 લાખનું ચુકવણું ન થતા કંટાડેલા યુવકે આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો તે ઘટના બાબતે બહુમાળી ભવનમાં આવેલી ક્ષાર અંકુશ વિભાગની કચેરીના અધિકારી એચ.કે.રાઠોડને પૂછતા તેમણે આ કિસ્સામાં ચુકવણું ઝડપથી થાય તે માટે કાર્યવાહી કરાઈ રહી હોવાનો દાવો કર્યો હતો.