ચાંદલોડિયામાં ઘર નજીક કચરો ફેંકવાના ઝઘડામાં 4 લોકોએ ભેગા મળી, ઘરમાં ઘુસી મહિલા પર લાકડીથી હુમલો કર્યો

ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી ઘર આગળ કચરો ફેંકવા મુદ્દે 2 મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં એક મહિલાના પરિવારના 4 સભ્યોએ ભેગા મળી બીજી મહિલાના ઘરમાં ઘુસીને તેની સાથે મારામારી કરી લાકડીથી હુમલો કર્યો. જ્યારે મહિલાના 2 દીકરા છોડાવવા વચ્ચે આવ્યા તો ચારેય જણાંએ તેમની ઉપર પણ હુમલો કર્યો હતો. આ મારામારીમાં મહિલાનો ફોન તૂટી ગયો અને ધક્કો વાગતા તે નીચે પડી ગઇ હતી.

ચાંદલોડિયાની એક સોસાયટીમાં રહેતા મોનાબહેન(35)(નામ બદલેલ છે) ના પતિ વિરમગામમાં ખેતીવાડી કરે છે. તા.10 ઓકટોબરે સવારે 9 વાગ્યે તેમની જ સોસાયટીમાં રહેતા લલીબહેન રેલ્વેના પાટા બાજુ કચરો ફેકવા જઈ રહ્યા હતા તે દરમિયાન મોનાબહેનના ઘર આગળ કચરો પડવાથી ગંદુ થયું હતું. જેથી મોનાબહેન તે કચરો ડોલમાં ભરીને લલીબહેનના ઘરની બહાર ફેંકી આવ્યા હતા. ત્યારબપછી મોનાબહેન અને લલીબહેન પોત પોતાના ઘરે જતા રહ્યા હતા.

જ્યારે મોડી રાતે 3 વાગ્યે મોનાબહેન અને 2 દીકરા ઘરે હાજર હતા. ત્યારે કુલદીપ દેસાઈ અને પિતા અજમલ દેસાઈ, હિરેન દેસાઈ તથા ભોલિયો દેસાઈ મોનાબહેનના ઘરે આવ્યા હતા. તે ચારેય જણાંએ કહ્યું હતું કે, અમારા ઘરની સામે કચરો કેમ ફેંકયો હતો. તેમ કહીને મોનાબહેન સાથે ઝઘડો કરીને ચારેયે તેમની સાથે ઝપાઝપી કરવા માંડી હતી. જ્યારે આ બનાવના પગલે મોનાબહેનના 2 દીકરા દોડી આવતા આ ચારેયે તેમની સાથે પણ ઝપાઝપી શરૂ કરી હતી. જેમાં મોનાબહેનને ધક્કો મારીને પાડી દીધા હતા તથા તેમની ગરિમાનો ભંગ થાય તેવું વર્તન કર્યું હતુ. આ ઝપાઝપીમાં મોનાબહેનનો ફોન તૂટી ગયો અને તેમને પગમાં લાકડી વાગી હતી. આ બનાવના પગલે સોસાયટીના રહીશો ભેગા થઇ જતાં મોનાબહેન અને તેમના બંને દીકરાઓને છોડાવ્યા હતા. આ વિશે મોનાબહેને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.