પડાણા અને વરસાણા ચોકડી પર ગેસનો ગેરકાયદેસર ધંધો કરતા 2 ઇસમો 1.19 લાખના મુદ્દામાલ સાથે પકડાય

copy image

ગાંધીધામ-ભચાઉ હાઇવે પર ચાલતા કોમર્શીયલ ગેસ રિફિલિંગના કાળા કારોબાર ઉપર પૂર્વ કચ્છ SOG ની ટીમે દરડો પડતાં પડાણાના પંચરત્ન આર્કેડ તથા વરસાણા ચોકડી પાસે દુકાનમાં દરોડો પાડી કોઇપણ માન્ય લાયસન્સ વગર ગેસના બાટલા રિફિલિંગ કરી રૂ.80 થી રૂ.100 વધુ લઇ ગેરકાયદેસર ધંધો કરતા બે દુકાનદારની અટક કરી આ બાટલા પહોંચાડનાર સહિત 5 લોકો  વિરૂધ્ધ ગુનો નોંધાવી રૂ.1.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

SOG PI એસ.એન.ગડ્ડુએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમને મળેલી માહિતીના આધારે પડાણા પાસે આવેલા પંચરત્ન આર્કેડમાં આવેલી શ્રી મોમાય કૃપા નામની દુકાનમાં દરોડો પાડી ત્યાં હાજર પડાણાના નરપતસિંહ તખુભા જાડેજાને તેની દુકાનમાં રહેલા કોમર્શિયલ અને ઘરેલુ રાંધણ ગેસના બાટલાના આધાર પુરાવા માંગતાં તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું.

કોઇપણ સત્તા અધિકારી પાસેથી લાયસન્સ મેળવ્યા વગર લોકોના જીવના જોખમે આ ગેરકાયદેસર રીતે ગેસનો વેપાર ચાલુ હોવાનું માલૂમ પડતાં રૂ.30,000 ની કિંમતના અલગ અલગ કંપનીના 15 કોમર્શિલ બાટલા, રૂ.22,000 ની કિંમતની 11 ભરેલી બોટલો, રૂ.8,000 ની કિંમતના ઘરેલુ રાંધણ ગેસના 8 બાટલા અને રૂ.7,000 ની કિંમતના 7 ભરેલા બાટલા તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ.68,000 નો મુદ્દામાલ જપ્ત કરી આ બાટલા અહીં પહોંચાડનાર આદિત્ય ઇન્ડેન ગેસના સર્વિસ વાહનનો ચાલક, Hp ગેસના બાટલા આપનાર બાવાજી નામના ઇસમ તથા રિલાયન્સના બાટલા પહોંચાડનાર અંજારના સંજયભાઇ જૈન વિરુધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

વરસાણા ચોકડી પાસે આવેલી બાલાજી મિષ્ટાન ભંડારનો સંચાલક સોહનલાલ ડુંગરરામ ગોધારા પોતાની દુકાનમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલામાંથી બીજા ગેસના બાટલામાં રિફિલિંગ કરી પોતાની દુકાને આવતા ગ્રાહકોને ઉંચા ભાવે વેંચાણ કરતો હોવાની તેમને મળેલી માહિતીના આધારે તેની દુકાનમાં દરોડો પાડ્યો હતો.

આ દરડામાં કોઇ સત્તા અધિકારીપાસેથી લાયસન્સ મેળવ્યા વગર મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બાટલામાં લોકોનો જીવ જોખમમાં મુકી રિફિલિંગ કરી ગ્રાહકો પાસેથી રૂ.80 થી રૂ.100 વધુ લઇ આ કારોબાર કરતો હોવાનું બહાર આવતાં રૂ.44,000 ની કિંમતના અલગ અલગ કંપનીના 22 બાટલા તે પૈકી રૂ.6,000 ની કિંમતના ત્રણ ભરેલા બાટલા , રેગ્યુલેટર અને નળી તેમજ મોબાઇલ સહિત કુલ રૂ.51,500 નો મુદ્દામાલ કબજે કરી સોહન લાલની અટક કરી હતી. આ બાટલા ગાંધીધામ રહેતો ચિરાગ પ્રજાપતિ પહોંચાડતો હોવાનું તેમને જણાવતાં બન્ને વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.