જખૌંના દબાણોને નોટિસની મુદ્દત પુરી; પોલીસના ધાડા પોર્ટમાં ઉતર્યા

 મત્યબંદર જખૌ ખાતે મોટી સંખ્યામાં દબાણો ખડકાઇ ગયા છે. જેને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં જ 200 થી 300 દબાણકારોને નોટીસો આપવામાં આવી હતી. જેની મુદ્દત ગુરૂવારે પૂર્ણ થાય છે. તેના એક દિવસ પહેલા જ જખૌ ખાતે પોલીસ અને વહીવટી તંત્રના ધાડા ઉતર્યા હતાં. તો માછીમારોએ કામગીરીને લઇને વિવિધ સવાલો ઊભા કર્યા છે.બુધવારે વહીવટી તંત્રના અધિકારીઓએ પોલીસ કાફલાને સાથે રાખી જખૌની મુલકાત કરી હતી. બંદર અને ગામની મુલકાત કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકી, DYSP બી બી ભગોરા, જખૌ મરીન PI ડી એસ ઇસરાણી તેમજ PSI અને પોલીસ કાફલો સાથે રહ્યા હતાં. પોલીસ અને અધિકારીઓએ ગામમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. જેના લીધે દબાણકારો અને બીજા જિલ્લામાંથી આવેલા માછીમારોમાં સન્નાટો છવાઈ ગયો હતો. અમુક માછીમારો જરૂરી સામાન લઈને પોતાના વતન તરફ રવાના થઈ ગયા છે. તો અન્ય બોટો માછલીઓ ભરેલી હાલતમાં જેટી ઉપર ઊભેલી જોવા મળી રહી છે. અને મોટા ભાગના દંગા (માછલીઓ રાખવાની જગ્યા) પરથી સમાન ખાલી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.