પરીક્ષા ચાલુ હોવા છતાં રાપરની ભકતાવાંઢની શાળાને તાળા મારી આચાર્ય અને શિક્ષકો ગાયબ


રાપર તાલુકામા શિક્ષણ કેટલું ખાડે ગયું છે તેનો વધુ એક દાખલો સામે આવ્યો છે. હાલે પ્રાથમિક શાળાની સત્રાંત પરીક્ષાઓ ચાલુ હોવા છતાં નાની હમીપરમાં આવતી ભક્તામર વાંઢની શાળાને તાળા મારી શિક્ષક અને શિક્ષિકા ગાયબ થઇ જતાં છેલ્લા ચાર દિવસથી બાળકો પરીક્ષા આપી શકતા નથી. બનાવને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ભકતાવાંઢમા આવેલી પ્રાથમિક શાળામા આમ તો ધોરણ 1 થી 8 મંજુર થયેલા છે પણ શિક્ષકોની ઘટ અને બાળકોની ઓછી સંખ્યા ના હિસાબે ધોરણ 1 થી 5 સુધીના 40 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
ચાલુ માસની 10 તારીખથી સંત્રાત પરીક્ષા શરૂ થઈ હતી પણ છેલ્લા 4 દિવસથી શાળામા તાળા મારીને શિક્ષક અને શિક્ષિકા ગાયબ થઈ જતા બાળકો રોજ શાળાએ જઈને પરત ઘરે આવતા હતાં જેની જાણ વાલીઓ દ્વારા નાની હમીપરના સરપંચ ચંપાબેન ડાયાભાઇ મકવાણાને કરાતા ભાંડો ફૂટ્યો હતો. બનાવને પગલે તાત્કાલિક CRC દશરથ ચૌધરીને બોલાવાય હતા અને તેઓ પણ શાળાને તાળા મારેલા જોયા ત્યારે અચરજ પામ્યા હતા.
તેમણે શિક્ષક-આચાર્ય સુરેશભાઈ સોંલકી અને શિક્ષિકા આશાબેન પટેલને ફોન લગાવ્યો હતો પણ બંનેનો ફોનનો રીપ્લાય આવતા સ્થળ રિપોર્ટ તૈયાર કરીને વાલીઓ, બાળકો, સરપંચ, અને ગ્રામજનોના નિવેદન નોંધ્યા હતાં અને રિપોર્ટ તાલુકા શિક્ષણ અધિકારીને રવાના કર્યો હતો. આ બાબતે સરપંચે પણ ઘટના બાબતે TPO ને લેખિત જાણ કરી હતી.