પોર્ટ કોલોનીથી ડ્રેનેજનું ગંદુ પાણી નાળામાં વહેરાવતા સ્થાનિકોમાં રોષ


ગાંધીધામના અપનાનગર વિસ્તારમાં પ્રમુખના ઘરની સામેની તરફ જ આવેલા વરસાદી નાળામાં ડ્રેનેજનું ગંદુ પાણી છેલ્લા 2 મહિનાથી વહેતું હોવાની સ્થાનિકોની ફરિયાદ બાદ તપાસ કરતાં તે પોર્ટ કોલોની માંથી આવતું હોવાનું સામે આવ્યું હતું. જે આધારે વારંવારની રજૂઆતો બાદ પણ કોઇ પરિવર્તન ન આવતાં પોર્ટના એન્જિનિયરો સાથે પાલિકાના હોદ્દેદારોએ સ્થળ તપાસ કરી ચર્ચા વિચારણા કરી હતી. ગાંધીધામના અપનાનગર બી વિસ્તારમાં આવેલા વરસાદી નાળામાં છેલ્લા બે મહિનાથી ડ્રેનેજનું ગંદુ પાણી વહેતું હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા હતા.
તેના કારણે ઉઠતી દુર્ગંધ, મચ્છરોથી રહેવાસીઓ પરેશાન થતા હોવાની વારંવારની ફરિયાદો બાદ પાલિકા દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતાં પોર્ટ કોલોની માંથી આ પાણી નાળામાં વહેવરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જે માટે પોર્ટના સંલગ્ન વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યા છતાં અને પ્રવાહને વારંવાર બંધ કર્યા છતાં રાત્રિના ભાગે કોઇક રીતે તેને ખોદી નાખવામાં આવતો હતો જેથી રાત્રે ગંદુ પાણી ફરી પ્રભાવિત થતું હોવાની ઘટના બની રહી હતી.
આખરે આ અંગે ગુરૂવારે પાલિકાના હોદ્દેદારો, સંબંધિત વિભાગના વડાઓ તેમજ ડીપીએના એન્જિનિયરો અને અધિકારીઓએ સ્થળ પર પહોંચી સમસ્યાના સમાધાન માટેના પ્રયાસો આદર્યા હતા. સૂત્રોએ દાવો કર્યો હતો કે, સંબંધિત વિભાગ દ્વારા તેવી ખાતરી અપાઇ હતી કે, આ સમસ્યા હવે ફરી નહીં ઉદ્દભવે. નોંધવું રહ્યું કે, અગાઉ પણ શહેરમાં ઠેર ઠેર વરસાદી નાળામાં ગંદૂ પાણી વહેતું કર્યા હોવાના દાખલા બન્યા હતા.