તંત્રની બેદરકારીથી રવાપર સહિત 12 ગામોમાં પાણી વિતરણ બંધ

copy image

પાણી પુરવઠા હેઠળ આવતા ખીરસરા(નેત્રા)થી સંચાલન કરાતી પાણી યોજનામાં હાલે દિવાળીના મોટા તહેવારોના સમયમાં એક સાથે 3 મોટર બંધ થતાં રવાપર સહિત 12 ગામોની પાણી વિતરણ વ્યવસ્થા બંધ થઇ જવા પામી છે. જેમાં નાગવીરી, નવાવાસ, ઘડાણી, હરીપર, વાલ્કા મોટા, પાનેલી, ઝુમારા, મેઘપર, નરા સહિતના ગામો પાણીથી વંચીત રહી જવા પામ્યા છે. હાલમાં જ તા.પં. પૂર્વ વિપક્ષ નેતા અશ્વીન રૂપારેલ દ્વારા પણ આ પ્રશ્ને સ્થાનિકેથી ઉચ્ચકક્ષાએ રજુઆત છતાંય મેન્ટનન્સ વિભાગની બેદરકારીનો ભોગ 12 ગામના લોકો અને પશુધન ભોગવી રહ્યા છે.
તો તંત્ર હજી કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. દૈનિક લાખો કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા લોકો સતાધીશો આ વિસ્તારની મુખ્ય પાણી સેવા માટે 12 વર્ષથી થીગડા લગાવી ચલાવાય છે. 5 મોટર પૈકીની 3 મોટર એક સાથે બંધ થતા એ પણ 12 વર્ષની જુની હોવા છતાંય કોઇ કાર્યવાહી હાથ ધરાઇ ન હોવાથી પાણી સપ્લાય પ્રક્રિયા પણ હાલ રામ ભરોસે હોવાનું જણાવી વહેલી તકે તપાસ હાથ ધરી ઉપર મોટા તહેવારોમાં લોકોને મુશ્કેલી ન થાય તેવી કાર્યવાહી હાથ ધરવા માંગ કરાઇ છે. અન્યથા આવનારા દિવસોમાં લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની ફરજ પડશે.
હાલમાં જ નવરાત્રી દરમ્યાન પણ 4 દિવસ પાણી બંધ થતા રજુઆતના પગલે હંગામી વ્યવસ્થા કરાઇ પુન પાણી બંધ થતાં આ વિસ્તારના લોકોમાં ભારે રોષ છે. અને પશુધન પણ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. હજુ તો ચોમાસું પૂર્ણ થયું છે અને શિયાળા બાદ ઉનાળાનો કપરો કાળ બાકી છે ત્યારે અત્યારથી પાણીની સમસ્યા ઉભી થતાં ઉનાળામાં શું પરિસ્થિતિ થશે તે તો આવનારો સમય જ જણાવશે.