યુનિવર્સિટીમાં એબીવીપીએ કર્યું હલ્લાબોલ:  સતત 4 કલાક સુધી ચેમ્બરમાં જ બેસી રહ્યા વિધાર્થીઓ

copy image

યુનિવર્સિટીના એમ.એ ઇકોનોમિક્સના 17 વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દેવાયા ન હતા. 75% હાજરી ન હોવાથી તેઓને પરીક્ષાથી દૂર રાખવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટી જણાવી રહી છે. જોકે, છાત્રોનું વર્ષ બગડયુ છે અને ફરી પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની વિનતી છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા છેવટે એબીવીપી દ્વારા મુદ્દો ઉપાડીને આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં શનિવારે રજૂઆતો દરમિયાન કુલપતિ દ્વારા સોમવારે આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી કે કેમ તે અંગે વિચારણા અને ઉકેલ લાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

જેથી વિદ્યાર્થીઓ અને એબીવીપીના હોદ્દેદારો સોમવારે યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા પરંતુ કુલપતિ ગાંધીનગર હોવાથી અને રજીસ્ટાર રજામાં હોવાથી હાજર મળ્યા હતા નહિ જેથી પરીક્ષા નિયામક અને ઇકોનોમિક્સ વિભાગના વડાને રૂબરૂ મળી રજૂઆત કરાઈ છતાં તેઓ દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા છેવટે વિદ્યાર્થીઓ તેમની ચેમ્બરમાં બેસી ગયા હતા. સતત ચાર કલાક સુધી વિદ્યાર્થીઓ ચેમ્બરમાં બેસી રહ્યા હતા.

વાતચીત દરમિયાન મહિલા અધ્યક્ષ તથા પરીક્ષા નિયામક દ્વારા એવો સુર વ્યક્ત કરાયો હતો કે, પરીક્ષા અંગે કુલપતિ કે રજીસ્ટાર જ નિર્ણય લઈ શકે છે તેઓ પાસે તેની સત્તા છે પણ વિદ્યાર્થીઓએ જ્યાં સુધી કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી અહીંથી ન હટવાનો અડગ નિર્ણય લઈ લેતા છેવટે ટેલીફોનની મદદથી કુલપતિનું ધ્યાન દોરવામાં આવતા તેમણે આજે મંગળવારે કચેરી મધ્યે આવીને આ અંગે 110 ટકા ઉકેલ લાવવાની મૌખિક ખાતરી આપતા અંતે વિદ્યાર્થીઓ હટ્યા હતા. તેવું એબીવીપી કચ્છ વિભાગના સંયોજક શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.