અમદાવાદમાં LIC એજન્ટે 4 પોલિસીના 11 લાખ જમા ન કરી છેતરપિંડી આચરી


અમરાઈવાડીના વકીલને એલઆઈસીના એજન્ટ હોવાનું કહીને ચાર પોલિસી લેવડાવી પોલિસીના પૈસા જમા ન કરાવતો હોવાથી પોલિસી બંધ થઈ ગઈ હોવા છતા વકીલ પાસેથી પૈસા મેળવી કુલ રૂ.11.25 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
અમરાઈવાડીમાં રહેતા અને ઘી કાંટા મેટ્રોકોર્ટમાં વકિલાત કરતા ધર્મેન્દ્રસિંહ ચૌહાણને નરોડા મધ્યે રહેતો પવનકુમાર પ્રજાપતિ સંપર્કમાં આવ્યા હતા. પવનકુમારે પોતે એલઆઈસીના એજન્ટ હોવાનું જણાવીને પોલિસી લેવા માટે ધર્મેન્દ્રસિંહને જણાવ્યું હતુ. જેથી ધર્મેન્દ્રસિંહે તેમની અને તેમના પરીવારની અલગ અલગ ચાર પોલિસી પવનકુમાર પાસેથી લીધી હતી. દર ત્રણ મહિને પવનકુમાર ધર્મેન્દ્રસિંહના ઘરે આવીને પોલિસીના પૈસા લઈને જતો હતો. જો કે વર્ષ વિતી ગયું તેમ છતા પણ પવનકુમારે પોલિસીઓના ભરેલ પૈસાની ડીટેલ આપી હતી નહિ. જેથી ધર્મેન્દ્રસિંહે ડીટેલ માંગી તો પવને તમને આપી દઈશ તેમ જણાવત પરંતુ ભરેલા પૈસાની કોઈ વિગત આપતો હતો નહિ.
જેથી આ અંગે ધર્મેન્દ્રસિંહે બીજા એજન્ટને પોતાની પોલિસી અંગેની તપાસ કરાવતા જાણવા મળ્યું કે તેમની પોલિસીના હપ્તા ભરાતા નથી અને પોલિસી બંધ થઈ ગઈ છે. જેથી પવનકુમાર પોલિસીના નામે પૈસા લઈ જાય છે પરંતુ પૈસા ન ભરી કુલ રૂ.11.25 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે ધર્મેન્દ્રસિંહે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.