રાપરમાં ગૌરવ યાત્રાનો વિરોધ કરે તે પૂર્વે 150 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી


ભાજપ દ્વારા ઉત્તર ઝોનના બહુચરાજીથી માતાના મઢ સુધી શરુ કરવામાં આવેલી ગૌરવ યાત્રાએ વાગડ વિસ્તારમા પ્રવેશ કરતાં આડેસર અને ભીમાસર મધ્યે સ્વાગત કરવામાં આવ્યુ હતું. યાત્રા રાપર આવે તે પૂર્વે કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતોની ધરપકડ કરાતા મામલો ગરમાઈ ગયો હતો. ધરતીપુત્રોની ધરપકડ થતાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હોદેદારો પોલીસ મથકમાં ટોળા સાથે ઘસી ગયા હતા. આ ઘટનાની વચ્ચે રાપર મધ્યે આવી પહોંચેલી ગૌરવ યાત્રા સભામાં ફેરવાતાં ભાજપના અગ્રણીઓએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.
પોલીસે કરેલી ધરપકદ્ના પગલે રાપર તાલુકા કિસાન સંઘના પ્રમુખ કરશન આહીરે જણાવ્યું હતું કે સરકાર નર્મદાના પાણી ન આપતી હોવાથી મોલ સુકાઈ રહ્યા છે જેની રજુઆત કરવા આવ્યા હતાં પણ અમારા દોઢસો જેટલાં ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે જેને રાપર, બાલાસર, આડેસર, લાકડીયા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા છે. અમે માત્ર રજુઆત કરવા આવ્યા હતા તેમ છતાં ધરપકડ કરવામાં આવી હતી.
ખેડૂતોની ધરપકડ પગલે મોટી સંખ્યામા કોંગ્રેસી કાર્યકરોની સાથે પોલીસ સ્ટેશને ધસી ગયેલા ભચુભાઇ આરેઠિયાએ પાણીના અભાવે ખેડૂતોના મોલ સુકાઈ રહ્યા છે. સરકાર પેટ્રોલ, ડીઝલના ભાવો વધારી રહ્યા છે. ખેડૂતો રજુઆત કરવા આવે તો આવી રીતે ધરપકડ કરાય છે તે યોગ્ય નથી. બુધવારે નર્મદાનું પાણી નહીં આવે તો ગુરૂવારે ભુજમા કલેકટર ઓફિસે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી તેમણે આપી હતી.
સામખિયાળીમાં ભાજપની ગૌરવ યાત્રા રાત્રે દસ વાગ્યે આવતા તેમનો વિરોધ કરવા આવેલા ખેડૂતોને પોલીસ પકડી ગઈ હતી. કિસાનોએ આક્રોશ સાથે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે ગૌરવ યાત્રામાં કેનાલમાં પાણી છોડવા માટે માંગણી કરવા આવ્યા હતા અને અમને પોલીસ પકડીને સામખિયાળી પોલીસ સ્ટેશનમાં લઈ આવી છે તે યોગ્ય નથી.
રાપર મધ્યે યોજાયેલી સભામાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, હાર્દિક પટેલ, કે. સી. પટેલ, પ્રભારી દિલીપ ઠાકોર,કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, માંડવીના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા,પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, અંબાવી પટેલ સહિતનાઓએ ભાજપા દ્વારા કરાયેલ વિકાસ કામોનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દૈયા,,તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, કોષાધ્યક્ષ અકબરભાઈ રાઉમા,,શહેર પ્રમુખ ઉમેશ સોની, વણવીર સોંલકી, અંબાવી વાવીયા, રાજુભા જાડેજા, ભગાભાઈ આહીર,દેવનાથ બાપુ,મહાવીર જોગું, જાગુબેન શાહ, પ્રદીપસિંહ સોઢા, વાલજી વાવીયા, દિનેશ વાવીયા, ડોલરરાય ગોર સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.