અમદાવાદમાં સેટેલાઈટના વેપારીના પ્લોટ પચાવી પાડનાર બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ


સેટેલાઈટમાં રહેતા વેપારીની ઓગણજની સીમમાં આવેલા જમીનના પ્લોટ પર પોતાના નામના બનાવટી એલોટમેન્ટ લેટર, પઝેશન લેટર તેમજ પાવર ઓફ એટર્ની બનાવી પ્લોટમાં ઓરડી અને કંપાઉન્ડ વોલ બનાવી જમીન પચાવી પાડવાનારા વિરુદ્ધ વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરાવી છે.
સેટેલાઈટમાં રહેતા અને શેર ટ્રેડિંગનો વ્યવસાય કરતા મનીષ જશવંતલાલ શાહે ક્રાઈમ બ્રાંચમાં દાખલ કરાવેલ ફરિયાદ મુજબ, ઓગણજની સીમમાં આવેલી મેઘમલ્હાર હાઉસિંગ સોસાયટીમાં એક પ્લોટ ખરીદ્યો હતો જેના દસ્તાવેજી પુરાવા તેમની પાસે છે. જો કે તેમને કોઈ કે જાણ કરી હતી કે, તેમના પ્લોટ પર શંભુ વેલાભાઈ દેસાઈ (રહે. ચેહરનગર,ઘાટલોડિયા) અને દશરથ ભૂરાભાઈ દેસાઈ (રહે.સરસ્વતી નગર, ઘાટલોડિયા)તથા તેમના મળતિયાઓએ આ પ્લોટ પર ગેરકાયદે ઓરડી અને કંપાઉન્ડ વોલ બાંધી દીધી હતી. આ બાબતે મનીષભાઈએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.