ઘાણીથર પાટિયા નજીક ટ્રક અને રિક્ષામાં ટક્કરાતા અકસ્માત સર્જાયો :1 મોત, 5 ઇજાગ્રસ્ત


રાપર તાલુકાના ગાગોદર અને ઘાણીથર પાટિયા વચ્ચે રાધનપુરથી ભચાઉ રોજી માટે જઇ રહેલા ખેતમજૂર પરિવારની રિક્ષાને ટ્રકની ઠોકર લાગતાં એક યુવાનનું મૃત્યુ થયું હતું , તો પરિવારના પાંચ લોકો ઘયાળ થયા હતા જેમાંથી ત્રણ લોકોને ગંભીર ઇજા થઈ હોવાનું સૂત્રો પાસેથી મળેલી માહિતિમાં જણાવવામાં આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગાગોદર અને કાનમેર વચ્ચે ઘાણીથર પાટીયા પાસે બેકાબુ બનેલો ટ્રેઇલર ચાલક પોતાનું વાહન કૂદાવી રોંગ સાઇડમાં કૂદાવી ગયો હોવાને લીધે એક તરફનો માર્ગ બંધ થતાં ટ્રાફિક વન વે થયો હતો. તે જ સમયે રીક્ષા લઇ ભચાઉ ખેતમજૂરી માટે જઇ રહેલો રાધનપુરનો પરિવારના પરિવારની રિક્ષાને એક ટ્રક ચાલકે ટક્કરે લેતાં રિક્ષામાં સવાર 22 વર્ષીય મુકેશ દેવાભાઇ ફૂલવાદીનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.
તેમજ પરિવારના અન્ય સભ્યો 60 વર્ષીય વાલીબેન ફૂલવાદી, 50 વર્ષીય ઝવેરબેન સોમાભાઇ, 25 વર્ષીય ઝરૂખાબેન અરવિંદભાઇ, 30 વર્ષીય અરવિંદભાઇ સોમાભાઇ તેમજ 70 વર્ષીય સોમાભાઇ ફૂલવાદી ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ 108 મારફત ગાગોદર પીએચસી લઇ જવામાં આવ્યા ત્યારબાદ વધુ સારવાર માટે સામખિયાળી ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ ઇજાગ્રસ્તોમાંથી 3 સભ્યોને ગંભીર ઇજાઓ થઈ હતી.
ગાગોદર અને કાનમેર વચ્ચે ઘાણીથર પાટિયે એક સાઇડનો રોડ ટ્રેઇલર વચ્ચે આવી જતાં બંધ રહ્યો હતો તેમાં થયેલા આ જીવલેણ અકસ્માતને લીધે 8 કિલોમીટર સુધી 5 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. આ ટ્રાફિક જામને લીધે વેકેશનના માહોલમાં વતન જવા નિકળેલા કર્મચારીઓના પરિવાર ફસાઈ ગયા હતા.
આ જીવલેણ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ઠોકર મારીને ભાગ્યો હતો પરંતુ જાણ થતાં જ આવેલી પહોંચી આડેસર પોલીસ મથકની ટીમે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી લીધો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. જો કે આ અકસ્માત અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુ હતી.