નખત્રાણાના રસલીયા ગામની સીમમાં કુદરતી ઘાસમાં આગ લાગવાથી નાસભાગ મચી


નખત્રાણાના રસલીયા ગામની સીમમાં અંદાજિત પાંચથી છ એકર જમીનમાં ઉગેલ કુદરતી ઘાસ આગ લાગવાથી બળીને ખાક થઈ ગયું હતું. આગનો આ બનાવ પવનચક્કી નિર્માણ કરતી સુઝલોન અને વિન્ડ વર્લ્ડ કંપનીની પસાર થતી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના લીધે બન્યો હોવાની શંકા લોકોએ વ્યક્ત કરી હતી. આગની જાણ સ્થાનિકોને થતા હાથ લાગ્યા સાધનથી લોકોએ આગને કાબુમાં લેવા પાણીનો મારો ચાલાવ્યો હતો. જેના લીધે ભારે નાસભાગ મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર પવનચક્કીની વીજ લાઈનમાં ફોલ્ટ થતાં શોર્ટ સર્કિટ થવાથી કુદરતી ઘાસમાં આગ લાગી ગઈ હતી. આગને કાબુમાં લેવા લોકોને ભારે જહેમત ઉઠાવી પડી હતી. ત્યારબાદમાં ઘટનાની જાણ સંબધિત કંપનીને કરાતા બંને કંપનીના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે કાયમી આ પ્રકારે આગ લાગવાથી જમીનમાં ઉગેલું મહામુલું ઘાસ નાશ થઈ જતું હોય છે. જેની સીધી અસર અબોલ પશુઓના ચરિયાણ પર પડતી હોવાનું લખન દેસાઈએ જણાવ્યું હતું. ગ્રામજનોએ આગથી થતા નુકશાન માટે જવાબદાર પવનચક્કીની કંપનીઓએ ભોગ બનનારને વળતર ચુકવવામાં આવે એવી માગ સામાજિક કાર્યકર જુવાનસિંહ જાડેજાએ કરી હતી.