બોરસદના નાપા તળપદમાં 1.48 લાખની મતાની તસ્કરી કરાઇ


બોરસદ તાલુકના નાપા તળપદ ઊંટવાડિયા પુરામાં રહેતા ખેડૂત પરિવારના ઘરમાં વહેલી સવારના અરસામાં તસ્કરીનો બનાવ બન્યો હતો. જેમાં તીજોરીના લોકરમાંથી રૂ. 1 લાખ 48 હજાર મતાની ચોરી થઈ ગઈ હતી. આ બાબતે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ચોરીના ગુનાની ફરિયાદ દાખલ કરાવાઈ હતી. બોરસદના નાપા તળપદ, ઊંટવાડીયા પુરામાં રહેતા રમેશભાઈ રામભાઇ તળપદા ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેઓ વહેલી સવારે 5 વાગે તેમની પત્નિ સાથે ખેતરમાં પાક જોવા માટે ગયા હતા. ત્યારે સવારે તેમના ભત્રીજા તરુણભાઈ શનભાઈ તળપદાનો ફોન આવેલો કે તેમના ઘરમાં તસ્કરી થઈ છે.
તેઓ તુરંત ખેતરમાંથી ઘરે પાછા આવી પહોંચ્યા હતા. અને તેમણે ખરીદી કરેલાં ઘરેણાંનું બિલ તીજોરી પાસે નીચે પડેલું જોતાં આશંકા પડી હતી. તીજોરીમાં જોતાં લોકરમા મૂકેલા ઘરેણાં કોઈ તસ્કરી કરી ગયું હોવાની જાણ થઈ હતી. આ બાબતે તેમણે તેમના દીકરા નિલેશને પૂછતાછ કરી હતી. નિલેશે જણાવ્યું હતું કે તે અને તેની પત્નિ ઘરના દરવાજાને તાળું માર્યા વિના સૂતા હતા અને તિજોરીને પણ લોક હતું નહિ. ત્યારબાદ રમેશભાઈ તળપદાએ 1.48 લાખની મતાના ઘરેણાં તસ્કરી થયાંની ફરિયાદ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં દાખલ કરાવી હતી.