અમદાવાદના દાણીલીમડામાં બેરલ માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠતાં 300થી વધુ ઓઇલના બેરલોમાં આગ

copy image

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બેરલ માર્કેટમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. ઓઇલના બેરલના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 21 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બે કલાકની ભારે જેમત પછી આગને કાબુમાં લેવાઈ હતી. 300 થી વધુ લુબ્રિકન્ટ ઓઇલ ના બેરલમાં આગ લાગી હતી આગ એટલી ભીષણ હતી કે રોડ ઉપરથી આગ દેખાતી હતી અને આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફટાકડા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ બાબતે હાલ એફએસએલ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 11.45 વાગ્યાની આસપાસ દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કેટમાં પંજેતની એસ્ટેટમાં ગોડાઉન નંબર ત્રણમાં આગ લાગી હતી ભીષણ આગ લાગવાના મેસેજના પગલે ફાયર બ્રિગેડની 21 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરાઈ હતી. 65 જેટલા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરાયા હતા. આસપાસના આવેલા ગોડાઉનમાં આગ ના ફેલાય તે રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી અને બે કલાક સુધી પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાઈ હતી.

ઓઇલના બેરલ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી પરંતુ ફાયર બ્રિગેડના અધિકારી સહિત 65 જેટલા ફાયર જવાનો દ્વારા સમયસુચકતાથી ભીષણ આગને કાબુમાં લેવાઈ હતી. આગના કારણે આસપાસના ગોડાઉનમાં પણ આગ ફેલાઈ શકે તેમ હતી પરંતુ સમય સૂચકતાથી આગ કાબુમાં આવી જતા 15 જેટલા ગોડાઉનને બચાવી લેવાયા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફટાકડા હોવાનું જાણવા મળ્યું છે જોકે હાલ આ અંગે તપાસ શરૂ કરાઈ છે.