ગાગોદરમાં એસટી બસ ખોટવાઇ જતાં મુસાફરોને રાત્રે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા આખી રાત રઝળ્યા

copy image

રાપર તાલુકાના ગાગોદરમાં બસ ખોટવાઇ જતાં મુસાફરોને રાતભર રઝળવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર વડનગરથી માતાના મઢ જતી ગુર્જર નગરી બસમાં રાત્રે 10 વાગ્યાના સમયગાળામાં ગાગોદર પાસે ક્લચ ફેઇલ થઇ ગયા હતા. ઉણપ થતાં બસ બંધ પડી ગઇ હતી જેના અંગે ડ્રાઇવર-કંડક્ટર દ્વારા રાપર, ભચાઉ, રાધનપુર સહિતના એસટી ડેપોમાં જાણ કરવામાં આવી હતી પણ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અન્ય કોઇ બસની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. બીજા દિવસે સવારે 9 વાગ્યે આવેલી બસમાં મુસાફરો રવાના થયા. આમ એસટી નિગમની બેદરકારીને લીધે ઠંડીમાં પ્રવાસીઓને રાત્રિ વીતાવવાની વારી આવી હતી.

વડા પ્રધાનના ઉત્તર ગુજરાતમાં આયોજિત કાર્યક્રમ માટે રાપર ડેપોની બસો ફાળવી દેવામાં આવતા પ્રવાસીઓને હાલાકી વેઠવી પડી હતી. રાપરથી રાજકોટ, થરાદ, નારાયણસરોવર, ભુજ તરફ જતી બસોની સાથે ગ્રામ્ય વિસ્તારોના રૂટની બસ બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે રાપરથી ઉપડેલી એકલ-દોકલ બસમાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. જલારામ જયંતી હોવાથી બાદરગઢ પાટિયા નજીક આવેલા જલારામ મંદિરે દર્શનાર્થે જતા ભાવિકો બસ ન હોવાથી રખડ્યા હતા.