ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો સર્જાયો ગમખ્વાર અકસ્માત : ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં, ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત રાત્રે બન્યો હતો. ગત રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં ચોટીલા રેફરલ હોસ્પિટલમાં ઘર કંકાસમાં માર જુડ થતા ચોટીલાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરેશભાઈ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની ૧૮ વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવેલ હતા. જાણવા મળી રહ્યું છે કે, ચોટીલા રેફરલ હોસ્પિટલે સારવાર બાદ વધારે તકલીફ હોતા દર્દીને રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. જેમાં દર્દી અને સાથે તેમની દીકરી તથા તેમના મોટાબેન મિયત્રા ગીતાબેન જયેશભાઈ અને બનેવી જયેશભાઈ મિયાત્રા તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા રવાના થયા હતા. તે દરમ્યાન ચોટીલાથી રાજકોટ તરફ ફકત કી.મી. આગળ એમ્બ્યુલન્સ આપાગીગાના ઓટલા નજીક કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકા ભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અસ્કમાતમાં એમ્બ્યુલન્સની એક સાઈડનો કૂચડો વળી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા.