મોટી ખોંભડીમાં 255 કોરીમાં ખરીદાયેલા વરંડા મુદ્દે મહત્ત્વનો ચુકાદો આવ્યો
copy image

નખત્રાણા તાલુકાના મોટી ખોંભડીમાં 255 કોરીમાં ખરીદાયેલા વરંડાના મુદ્દે નખત્રાણાની અધિક સિવિલ કોર્ટે દાવો લાવનારની તરફેણમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો . કેસની ટૂંકી વિગત મુજબ મોટી ખોંભડીમાં આશરે 500 વારના પ્લોટનો વરંડો સ્વ. ઠક્કર દેવકરણ વેલજી શેઠિયાએ ગામના મૂળ જાગીરદાર જાડેજા મુરવાજી પેટવાલાના વારસદારો પાસેથી કચ્છ રાજના ચલણની 255 કોરીમાં વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યો હતો. દેવકરણ શેઠિયાનાં નિધન બાદ વરંડાનો કબજો – ભોગવટો તેમના વારસદારોના કબજા – ભોટવટામાં હતો, જો કે, તેમની જાણ બહાર અમુક શખ્સોએ વરંડાનો બોગસ દસ્તાવેજ બનાવી રજિસ્ટર કરાવ્યા હતા, જે બાબતે વારસાદારો દ્વારા દીવાની દાવો કરાયો હતો. આ કેસ નખત્રાણા અધિક સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તમામ દસ્તાવેજી પુરાવાઓ તથા લેખિત-મૌખિક દલીલોના આધારે બોગસ દસ્તાવેજો બિનઅધિકૃત હોવાનું ઠરાવી રદબાતલ કર્યા હતા અને જમીન પર પ્રતિવાદીઓ દ્વારા કોઈ પણ પ્રકારનાં બાંધકામ કે વેચસાટ ન કરવાનો અને કબજો દાવો લાવનારાને આપવા ધાક બેસાડતો આદેશ કર્યો હતો. આ કેસમાં વાદીના વકીલ તરીકે એમ.આર. હાર્ષ અને તેમની ટીમ હાજર રહી હતી.