વરસામેડીની પ્લોટની યોજનામાં ગ્રાહકોને વ્યાજ સાથે પૈસા પરત કરવા આદેશ કર્યો

copy image

copy image

અંજાર તાલુકાના વરસામેડીમાં સ્કીમ લોન્ચ કરી પ્લોટ અંગે દસ્તાવેજ કરી, ડેવલોપિંગ ચાર્જ અંગે પૈસા ઉઘરાવાયા બાદ ડેવલોપિંગ ન કરાતાં કે પૈસા પરત ન અપાતાં કોર્ટમાં કેસ કરાયો હતો, જે અંગે બંને પક્ષોને સાંભળ્યા બાદ ત્રણ લોકોને 9 ટકા વ્યાજ સહિત રકમ પરત આપવા કોર્ટએ હૂકુમ  કર્યો હતો. વરસામેડીની સીમમાં એક જમીન અંગે શ્રી હરિ ક્રિષ્ના ડેવલોપરર્સના સંચાલકોએ સ્કીમ બહાર પાડી ત્યાં ઘનશ્યામ નગર નામ આપ્યું હતું. જે અંગે લોકોને ઉચ્ચ ખરીદી કરાર કરી આપી બાદમાં ડેવલોપિંગ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. બાદમાં ત્યાં ડેવલોપિંગ ન કરાતાં કે પૈસા પરત ન અપાતાં અશોક  પ્રતાપરાય સાજનાની, અશોક એમ. પટેલ, મનીષા બી. હેડાઉએ મહેન્દ્ર રમણીકલાલ રૂપારેલ, ધીરજ મહેન્દ્ર રૂપારેલ, ચાંદની મહેન્દ્ર રૂપારેલ સામે અંજારની કોર્ટમાં દાવો કર્યો હતો, જેમાં મહેન્દ્રભાઈનું અવસાન થતાં પાછળથી હિતેશ મહેન્દ્ર રૂપારેલ આ કેસમાં જોડાયા હતા. આ કેસમાં ન્યાયાધીશએ બંને પક્ષોને સાંભળી, આધાર -પુરાવા ચકાસી ફરિયાદી અશોક સાજનાનીને રૂા. 21,250, અશોક પટેલને રૂા. 19,250 તથા મનીષાબેન હેડાઉને રૂા. 32,500  9 ટકાના વ્યાજે વર્ષો વરસના ચડતા વ્યાજ સહિત ચૂકવી આપવા આ ડેવલોપર્સના સંચાલકોને આદેશ કરાયો હતો.