ભુજમાં ગટર સમસ્યાની રજૂઆત મુદ્દે થયેલા હુમલામાં સામસામી ફરિયાદ

copy image

copy image

ભુજના નરનારાયણનગરમાં ગટરની સમસ્યા અંગે વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો ક્લિપ દ્વારા રજૂઆત કરાયાનું મનદુ:ખ રાખી ભુજ નગરપાલિકા વોર્ડ નં. આઠના નગરસેવક મનુભા જાડેજાના બે પુત્ર અને ત્રણ અજાણ્યા શખ્સે રજૂઆતકર્તા દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હોવાનો ચર્ચાસ્પદ મામલે શહેર એ-ડિવિઝન પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, દિગ્વિજયસિંહે નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું હતું કે, ગત તા. 25ના સાંજના અરસામાં તે પોતાની રઘુવંશી ચોકડી સ્થિત આવેલી ફોટોગ્રાફીની દુકાન પર હતા ત્યારે નગરસેવકના પુત્રો અને ત્રણ અજાણ્યા શખ્સે આવી ઓડિયો વાયરલ કેમ કર્યો તેમ કહી માર માર્યો હતો અને બાદમાં આરોપીઓ નાસી છૂટયા હતા. સત્યરાજસિંહ મનુભા જાડેજાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તે તથા અન્યો ઓડિયો ક્લિપ બાબતે સમજાવવા ગયા હતા ત્યારે દિગ્વિજયસિંહે ગાળાગાળી કરી હતી અને માર માર્યો હતો  તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી હતી.