પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતો, ફરતો ઈસમ ઝડપાયો
copy image

અંજાર, ગાંધીધામ, ભચાઉ સહિતના પ્રોહિબિશનના ૧૯ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો અને છેલ્લા એક વર્ષથી નાસતા, ફરતા વરસામેડીના બાગેશ્રી નગરમાં રહેતો ઈસમ તેના મકાન પર હોવાની બાતમી મળતાં અંજાર પોલીસે દરોડો પાડી તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, ભચાઉમાં પ્રોહિબિશનના ૧૯ ગુનાઓમાં સંડોવાયેલો અને નવ ગુનાઓમાં ફરાર રહેલા અંજારના વરસામેડીના બાગેશ્રી નગરમાં રહેતો અને મૂળ મોટી ચીરઈ ગામનો કાનજી ઉર્ફે કાનો વેલાભાઈ બઢિયા નામનો ઈસમ તેમના રહેણાક મકાન પર હોવાની બાતમી પરથી અંજારના પી.આઈ. એ.આર.ગોહિલ, પી. એસ.આઈ. જે.એસ.ચુડાસમા અને ટીમે તાત્કાલિક વર્કઆઉટ કરીને દરોડો પાડયો હતો. પોલીસના દરોડામાં કાનજી ઉર્ફે કાનો બઢિયાને ઝડપી લીધો હતો. પોલીસે નવ ગુનાઓમાં પકડવાનો બાકી છે તેમાં અંજાર, ગાંધીધામ, ભચાઉના કેસો અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ અન્ય પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી હતી.